કરમસદથી સંદેશર જવાના માર્ગ ઉપર થી પસાર થતી વલાસણ મોટી કેનાલ પાસે કાંસળીમાં છેલ્લા ઘણા સમયથી કરમસદના સત્તાધિશો દ્વારા સુએેજનું ગંદુ અને દુર્ગંધીત પાણી છોડવામાં આવી રહ્યુ હોય આ વિસ્તારમાંથી ભારે દુર્ગંધને કારણે પસાર થવું મુશ્કેલ બની રહ્યુ છે. આજુબાજુ વિસ્તારના રહીશો, ખેડૂતો અને રાહદારીઓ ગંદા પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે.
જો તત્કાલિન રાહે ગંદુ પાણી છોડવાનું બંધ કરવામાં નહી આવે તો ગાંધી ચિન્દ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આણંદ મહાનગરપાલિકાના સમાવિષ્ટ કરમસદ ઝોનમાંથી પસાર થતી મોટી વલાસણ મહી કેનાલના કરમસદ સંદેશર માર્ગ ઉપર કેનાલ પાસે કાંસળી પસાર થાય છે. જે કાંસળીમાં કરમસદ ઝોનના રહેણાંક વિસ્તારના સુએજનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યુ છે. આણંદ મહાનગરપાલિકાના અધિકારીઓએ આ મુદ્દે તત્કાલિન તપાસ કરી દુર્ગંધીત પાણી બંધ કરાવવાની માંગ ઉઠી છે. જ્યાં ગંદુ પાણી વહી રહ્યુ છે ત્યાં આજુ બાજુ વિસ્તારમાં કરમસદ મેડિકલ હોસ્પિટલ, જીઇબી અને રહેણાંક વિસ્તાર આવેલો છે. તદ્ઉપરાંત અનેક ખેડૂતો વિવિધ પાકોની ખેતી કરી જીવન નિર્વાહ કરી રહ્યા છે. પરંતુ ગંદા પાણીમાં જીવાતોના ઉપદ્રવના કારણે પાક નષ્ટ પામી રહ્યો છે. જેમાં ખાસ કરીને તે વિસ્તારમાં એક ખેડૂતના ખેતરમાં વાવેતર કરવામાં આવેલા આંબામાં જીવાત પડતા કેરીનો સમગ્ર પાક સિઝન સમયે જ નષ્ટ પામ્યો છે. જેથી ખેડૂતને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ગંદુ અને દુર્ગંધીત પાણીમાં જીવાતના કારણે રોગચાળો ફાટી નિકળવાની શક્યતાઓ સેવાઇ રહી છે. છેલ્લા ઘણા સમયથી વકરેલી સમસ્યાના કારણે લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી કાંસળીમાં છોડાતા સુએજના ગંદા પાણીને વહેલી તકે બંધ કરવાની માંગ ઉઠી છે.