ગુજરાતમાં હાલ હવામાનમાં આવેલા પલટાને કારણે બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. ગુજરાતમાં વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડી અને બપોરે ગરમી અનુભવાય છે. ત્યારે બેવડી ઋતુના અનુભવથી રોગચાળો પણ વકર્યો છે. ગુજરાતમાં ઘરે ઘરે બીમારીના ખાટલા પથરાયેલા જોવા મળી રહ્યાં છે, તો દવાખાના દર્દીઓથી ઉભરાયા છે. તેવામાં વડોદરામાં બેવડી ઋતુ સાથે રોગચાળો વકર્યો છે. 24 કલાકમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 56 કેસ નોંધાયા છે.
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરમાં વડી ઋતુ દરમિયાન રોગચાળો વકર્યો છે, જેમાં શરદી-ઉધરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. 24 કલાકમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 56 કેસ નોંધાયા છે. જેમાં ડેન્ગ્યુના 56 કેસ પૈકી 8 કેસ પોઝિટિવ આવ્યા છે. ચિકનગુનિયાના શંકાસ્પદ 16 કેસ નોંધાયા છે જેમાં પોઝિટિવ 1 કેસ નોંધાયા છે જયારે ઝડા ઉલટીના 42 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં તાવના 534 કેસ નોંધાયા છે.
ઓપીડીની સંખ્યામાં વધારો થયો
સરકારી હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યા વધી રહી છે,સાથે સાથે ખાનગી હોસ્પિટલમાં પણ ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે,હાલ બે સિઝન ચાલી રહી છે બપોરે ગરમી તો કયારેક વરસાદ અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જેના કારણે રોગાચાળો વકરી રહ્યો છે.વાતાવરણમાં બદલાવ આવવાના કારણે આ સ્થિતિનું સર્જન થયું છે તેવુ તબીબો માની રહ્યાં છે.
મચ્છરનું ઉત્પાદન વધ્યું
વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ વધી જાય છે.
ડેન્ગયુ એટલે શું?
ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે.
ઉકાળેલુ પાણી પીવુ જોઈએ
વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.