વડોદરા શહેરમાં મકરપુરા અને સયાજીપુરામાં આજે ભીષણ આગની દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મકરપુરામાં સ્ટોરરૂમમાં આગ લાગતા લાખોના માલ સામાનને નુકસાન થયું. જ્યારે સયાજીપુરામાં બનેલ દુર્ઘટનામાં રહેણાંક મકાનમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત નિપજયું.
એસઆરપી ગ્રુપના સ્ટોરમાં અચાનક આગ લાગી
વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલ એસઆરપી ગ્રુપ 9ના સ્ટોર રૂમોમાં અચાનક આગ ફાટી નીકળતા ફાયર લાશ્કરોએ 45 મિનિટની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં સ્ટોર રૂમોમાં રાખેલ મટીરીયલ સળગીને રાખ થઈ જતા નુકસાન પહોંચ્યું છે. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ ઉપર કાબુ મેળવ્યા બાદ હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે. વડોદરા શહેરના મકરપુરા એસઆરપી ગ્રુપ 9 ખાતે આગનો બનાવ સામે આવ્યો છે.
આગ ફાટી નીકળતા દોડધામ મચી
એસઆરપીએફ ગ્રુપ 9ના સ્ટોર રૂમોમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. સંદેશો મળતા જીઆઇડીસી, ગાજરાવાડી, ટીપી 13, દાંડિયા બજાર ફાયર સ્ટેશન ખાતેથી ટીમો રવાના કરવામાં આવી હતી. ફાયર લાશ્કરોએ સતત 45 મિનિટ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પાણીની જરૂરિયાત વધુ જણાતાં છ ટેન્કર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. આગ વધુ ના પ્રસરે તે માટે આસપાસથી જ્વલનશીલ વસ્તુઓ દૂર કરાઈ હતી.ઘટનાની જાણ થતા મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારીયા, ફાયર ઓફિસર નિકુંજ આઝાદ, એસઆરપી ગ્રુપના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. વર્ષો જૂનું બાંધકામ ધરાવતા આ સ્ટોર રૂમમાં લાકડાનું પ્રમાણ વધુ હોય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગના કારણે સ્ટોર રૂમમાં રાખેલ ટેન્ટ, લાકડાની વસ્તુઓ, ગેસના બોટલ, સાધન સામગ્રી સહિતનુ મટીરીયલ સળગીને રાખ થઈ જતા નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે.
સયાજીપુરામાં આગ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત
વડોદરા શહેરના સયાજીપુરા ટાંકી પાસે આવેલ વિનાયક સોસાયટી બી ટાવર ૫૦૫ આગ લાગી હતી. જેમાં એક યુવક ભડથું થઈ ગયો હતો. વિનાયક સોસાયટીમાં આજે એક મકાનમાં આગ લાગી હતી. જેમાં પત્ની નોકરીએ જવા નીકળી અને એ પછી ઘરમાં આગ લગતા પતિ જીવતો ભુંજાઈ ગયો. ઘટના સ્થળે પાણીગેટ ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતા અને આગ ઓળવી હતી. બનાવને લઈને ઘટના સ્થળે ફોરેન્સિક ટીમ અને પોલીસ પણ પહોંચી ગઈ હતી. એમ સૂત્રોમાંથી પ્રાથમિક વિગતો જાણવા મળી છે.