વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાના કારણે કેરીના પાકને થયેલા નુકસાનનો સર્વે 95 ટકા પૂર્ણ થયો છે. બાગાયત અને ખેતીવાડી વિભાગની 16 ટીમોએ લગભગ 16થી 17 હજાર આંબાવાડીઓનું નિરીક્ષણ કર્યું છે.
.
વલસાડના સાંસદ ધવલભાઈ પટેલે 7મી મેના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ અને કૃષિમંત્રી રાધવજી પટેલને ખેડૂતોને વળતર આપવાની માગ કરી હતી. કમોસમી વરસાદથી વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાના ચીખલી, ખેરગામ અને વાસંદા તાલુકાના ખેડૂતોના કેરીના પાકને નુકસાન થયું છે. SDRFના નિયમો મુજબ 33 ટકા કે તેથી વધુ નુકસાન થાય તો જ વળતર મળે છે.

સર્વે દરમિયાન એક પણ ખેડૂતના ખેતરમાં 33 ટકાથી વધુ નુકસાન નોંધાયું નથી. મોટાભાગના ખેડૂતોને 0થી 15 ટકા સુધીનું નુકસાન થયું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, મીની વાવાઝોડા બાદ ખેડૂતો કેરીની બજાર વ્યવસ્થા કરી દેતા હોવાથી નુકસાનીનું દસ્તાવેજીકરણ મુશ્કેલ બન્યું છે. સર્વેના નોડલ અધિકારી અને ખેતીવાડી વિભાગના અધિકારી અરુણ ગરાસિયાએ જણાવ્યું કે સર્વે પછીનો રિપોર્ટ વલસાડના જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે.




