ઊંઝા APMC ના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ સહિતના સત્તાધીશો તેમના કાર્યકાળ દરમ્યાનના અનેક મામલે વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. તેમના કાર્યકાળ દરમ્યાનનો વધુ એક મામલો ચર્ચાના ચકડોળે ચડયો છે.
જેમાં ચાલુ વર્ષે વહીવટદારના શાસનકાળમાં અને નવા મહિલા સેક્રેટરીની દેખરેખમાં થયેલ ખુલ્લા પ્લોટોની હરાજી કરવામાં આવતાં APMCને 1.72 કરોડ રૂપિયાની આવક થવા પામી છે. પરંતુ અગાઉના ગત બે વર્ષમાં જ્યારે દિનેશ પટેલ ચેરમેન હતા. ત્યારેના 2 વર્ષ શંકાસ્પદ રીતે હરાજી ના કરીને બારોબાર ઉચ્ચક પ્લોટ ફાળવી દઈને કુલ 42.7પ લાખ રૂપિયા જ APMCના ચોપડે જમા કરાવતાં આ મામલે તપાસ કરવાની માંગ ઉઠી છે.
ઊંઝા APMCમાં હાલમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે કારણ કે ચૂંટણી યોજાયા બાદ ભાજપના મેન્ડેટનો અનાદર કરીને પોતાની પેનલ જીતાડનાર નેતાઓએ હજુ સુધી બેસવા ખુરશી મળી નથી. હાલમાં APMCના સેક્રેટરી તરીકે પણ ભાર્તિકાબેન પટેલ ચાર્જ સંભાળી રહ્યા છે. તાજેતરમાં વહીવટદાર અને સેક્રેટરીએ ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી યોજી હતી. જેમાં હરાજીના અંતે APMCને 1.72 કરોડ રૂપિયાની મબલખ આવક થઈ છે. પરંતુ આ જ ખુલ્લા પ્લોટો મામલે જ્યારે અગાઉના બે વર્ષ APMC ચેરમેન દિનેશ પટેલ હતા ત્યારે વર્ષ 2022-23 અને વર્ષ 2023-24 દરમ્યાન શંકાસ્પદ રીતે આ હરાજી કરવામાં જ નહોતી આવી. સત્તાધીશોએ વેપારીઓને ખાનગીમાં રૂબરૂ મળીને ઉચ્ચક બે 20.49 લાખ અને 22.26 લાખ રૂપિયા APMCમાં જમા લઈને પ્લોટ આપી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ચેરમેન દિનેશ પટેલના કાર્યકાળમાં વર્ષ 2021-22 દરમ્યાન પ્લોટની હરાજી કરીને 91.61 લાખ રૂપિયાની રકમ APMCમાં જમા કરાવવામાં આવી હતી. પરંતુ શંકાસ્પદ રીતે તે બાદ સતત બે વર્ષ સુધી હરાજી કરવાને બદલે વેપારીઓને ખાનગી રૂબરૂમાં મળીને હરાજીની 91 લાખની માતબર રકમની સરખામણીમાં 20.49 લાખ અને 22.26 લાખ જેવી ખૂબ ઓછી રકમ APMCમાં જમા લઈને મોટો ખેલ પાડવામાં આવ્યો હોવાની શંકાએ APMCના પૂર્વ કર્મચારી મિતેષકુમાર જશવંતલાલ પટેલે નિયામક ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, સહકાર મંત્રી અને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી તપાસ કરવાની માંગ ઉઠાવી છે.