શિનોર તાલુકાના તેરસા ગામે 6 વર્ષ પહેલા ભાવનગર તરફ્ના જેઠાભાઈ પટેલે ગૌચરના સર્વે નં.347 માં દબાણ કરીને પરવાનગી વગર માટી મેટલનો રસ્તો અને નાળુ બનાવેલ, તે તાજેતરમાં 6 વર્ષ અને બે મહિના પછી વહીવટદાર, તલાટી કમ મંત્રી અને વિસ્તરણ અધિકારી શિનોર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાવેલ છે. આમ ચૂંટાયેલી પંચાયત જે દબાણ દૂર ના કરાવી શકી તે વહીવટદારના રાજમાં દબાણ દૂર થયા.
શિનોર તાલુકાના તેરસા ગામે છ વર્ષ પહેલા ભાવનગર તરફ્ના જેઠાભાઈ પ્રાગજીભાઈ પટેલ દ્વારા ગામના ગૌચરમાં દબાણ કરીને માટી મેટલ નો રસ્તો અને પાણીનો રસ્તો અવરોધીને વર્ષો જુના કોતરને હટાવી નાળુ બનાવેલ હતું ,તે કામ જે તે સમયે ગ્રામ પંચાયતે અટકાવેલ અને જે તે કચેરીઓમાં કાગળો મોકલેલા,પરંતુ કોઈ પગલાં લેવાયા ન હતા, તાજેતરમાં તારીખ 30 નવેમ્બર 2024 વર્તમાન પત્રોમાં આ દબાણ બાબતે સમાચારો પ્રકાશિત થતાં તલાટી કમ મંત્રી દ્વારા નિયમ મુજબ ત્રણ નોટિસો આપવામાં આવી હતી અને મુદત આપી હતી , છતાં દબાણ કરનારા દ્વારા દબાણ દૂર ના થતાં તારીખ 24 એપ્રિલ ગ્રામ સભામાં દબાણ દૂર કરવાનો ઠરાવ કરેલ હતો અને હાલના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તારીખ 25 એપ્રિલ ના રોજ શિનોર પોલીસ સ્ટેશનમાં દબાણ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત ની માંગણી કરવામાં આવેલ હતી. શિનોર પોલીસે બે હથિયારધારી અને મહિલા પોલીસ તારીખ 30 એપ્રિલ 2025 બુધવારે સ્થળ ઉપર કાયદો અને વ્યવસ્થા જાળવવા મોકલી આપેલા હતા અને તલાટી કમ મંત્રી જીગ્નેશ, વહીવટદાર રવી તથા તાલુકા પંચાયતમાંથી આવેલા વિસ્તરણ અધિકારી દ્વારા જેસીબી મશીનથી 347 ગૌચરનું દબાણ અને નાળુ તોડી પાડી દબાણ ખુલ્લું કર્યું હતું .અને તેનો રિપોર્ટ તલાટી કમ મંત્રી દ્વારા સક્ષમ અધિકારીઓને મોકલવામાં આવ્યો હતો, આમ ચૂંટાયેલી પંચાયત દ્વારા જે દબાણો દૂર ના થયા તે વહીવટદારના સમયમાં દબાણો દૂર કરવામાં આવેલ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ હિસાબે ગૌચર પાડીને ખેતી માટે તેનું દબાણ કરેલ છે. આ રસ્તા નો ઉપયોગ કરનારા કુકસ તથા માંજરોલ ગામના ખેડૂતોનું કહેવું છે કે આ રસ્તા નો તમામ ખેડૂતો ઉપયોગ કરતા હતા અને ખેત પેદાશ ખેતરમાંથી બહાર લાવવા માટે વાપરતા હતા, જેથી વ્યક્તિગત કોઈ દબાણ થયેલ નહોતું.