તાજેતરમાં કથાકાર મોરારી બાપુએ કહ્યું હતું કે તાપીમાં શાળામાં 75 ટકા શિક્ષકો ઈસાઈ છે તેમજ પગાર સરકારનો ખાઈને ધર્માંતરણ કરાવે છે. ત્યાર બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે. તેઓ કાયદાના સકંજામાં આવશે અને તેમને છૂટવાની કોઈ તક મળશે નહીં.સરકાર આવા પ્રવૃત્તિઓ પર સખત કાર્યવાહી કરશે. આ મુદ્દે તાપી જિલ્લા કલેક્ટરે જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને એક પરિપત્ર જાહેર કર્યો છે.
કલેક્ટરે પરિપત્ર જાહેર કર્યો
તાપી જિલ્લા કલેક્ટરે જાહેર કરેલા પરિપત્રમાં કહ્યું છે કે, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના તાબા હેઠળની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા કોઈ ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના, સ્તુતિ કે જ્ઞાનનો ઉપદેશ ના અપાય. ધર્મ પ્રચાર અર્થે ધાર્મિક પુસ્તકોના વાંચન જેવી પ્રવૃત્તિઓ ન કરાય.આ પરિપત્રમાં વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ ના કરી શકાય તેવો ઉલ્લેખ કરાયો છે. પરંતુ શિક્ષકો દ્વારા આ પ્રકારનું વર્તન ના કરાય તેવો ઉલ્લેખ કરાયો નથી. કલેક્ટરે જાહેર કરેલા પરિપત્ર અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
સરકાર આવા પ્રવૃત્તિઓ પર સખત કાર્યવાહી કરશે
તાજેતરમાં કથાકાર મોરારીબાપુની તાપીના સોનગઢમાં રામકથાનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને એક પત્ર સોંપ્યો હતો. આ પત્ર એક શિક્ષક દ્વારા બાપુને આપવામાં આવ્યો હતો.વ્યાસ પીઠ પરથી મોરારી બાપુએ કહ્યું હતું કે 75 ટકા શિક્ષક ઈસાઈ છે તેમજ પગાર સરકારનો ખાય છે અને ધર્માંતરણ કરાવે છે. ત્યારબાદ કથામાં ઉપસ્થિત રહેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે.તેઓ કાયદાના સકંજામાં આવશે અને તેમને છૂટવાની કોઈ તક મળશે નહીં.સરકાર આવા પ્રવૃત્તિઓ પર સખત કાર્યવાહી કરશે.