રાજકોટના વીંછીયા તાલુકાના નાનામાત્રા ગામની સગીરાને સાયલા તાલુકાના કોટડા ગામનો યુવાન ભગાડીને લઈ ગયો હતો. આ બનાવમાં સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ કરતા બન્નેની ચોટીલાના લાખણકા ગામની સીમમાં ગળેફાસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે આ બનાવમાં બન્નેની હત્યા કરાઈ હોવાની રજૂઆત દિકરીના પરીવારજનોએ વીંછીયા મામલતદાર કચેરીએ કરી છે.
રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના નાનામાત્રા ગામે રહેતા એક પરીવારની સગીર દિકરીને સાયલા તાલુકાના કોટડા ગામનો યુવાન 22 વર્ષીય ચીરાગ લધુભાઈ ધોરીયા ભગાડીને લઈ ગયો હતો. જેમાં સગીરાના પિતાએ વીંછીયા પોલીસ મથકે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પ્રેમી પંખીડાઓ ભાગીને ચોટીલા તાલુકાના લાખણકાની સીમમાં આવેલ વાડીએ આવ્યા હતા. સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ કરી હોવાની જાણ થતા પ્રેમી પંખીડાઓએ વાડીની ઓરડીમાં તા. 30-11-24ના રોજ લોખંડની પાઈપ સાથે એક જ દોરી બંધી સજોડે આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવમાં ચોટીલા પોલીસે જે તે સમયે એડી નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં સમસ્ત કોળી અને ઠાકોર એકતા સમીતીના નેજા હેઠળ દિકરીના પરીવારજનોએ તા. 2-5ના રોજ વીંછીયા મામલતદાર કચેરીએ લેખીત રજુઆત કરી છે. આ રજુઆતમાં જણાવાયા મુજબ બન્ને મૃતકોના શરીર પર ઈજાના નીશાન હતા. આ બન્નેને ન દિકરાવાળાએ ન દિકરીવાળાએ પરંતુ અન્ય શખ્સોએ મારી નાંખ્યા છે. આથી આ આપઘાત નહી પરંતુ હત્યાનો બનાવ હોવાનું કહી આ કેસ રી-ઓપન કરાવા માંગણી કરાઈ છે. જો આ કેસ રી-ઓપન ન થાય તો તા. 15-5ના રોજ વીંછીયા મામલતદાર કચેરી સામે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારાઈ છે.