સુરેન્દ્રનગર શહેરની ગોકુલધામ સોસાયટીમાં રહેતા શિક્ષકના પુત્ર અને પૌત્રના જન્મના દિવસે તેઓએ અનોખો સેવા યજ્ઞ કર્યો હતો. જેમાં 500 શ્રીફળમાં કીડિયારૂ પુરી આ શ્રીફળ વન વગડામાં કીડીઓના ખોરાક માટે મુકવામાં આવ્યા છે.
દુધરેજમાં આવેલ વડનગર પ્રાથમીક શાળાના શિક્ષક લાભુભાઈ ડાભી સુરેન્દ્રનગરની ગોકુલધામ સોસાયટીમાં રહે છે. તેઓએ તેમના પુત્રના લગ્ન સમયે ચકલીઘર સ્વરૂપની કંકોતરી બનાવી મહેમાનોને મોકલી હતી. જયારે દિકરીના લગ્ન સમયે કન્યાદાન સાથે રકતદાનનો સેવાયજ્ઞ કર્યો હતો. ત્યારે તાજેતરમાં તા. 3-5ના રોજ તેમના પૌત્ર શીવાંશનો પ્રથમ જન્મદિવસ અને 5-5ના રોજ પુત્ર ધવલ ડાભીનો 24મો જન્મ દિવસ હતો. ત્યારે લાભુભાઈએ અનોખી રીતે જન્મ દિવસ ઉજવવાનો સંકલ્પ કર્યો હતો. લોકો પોતાના જન્મ દિવસે મિત્રો અને પરિવારજનો સાથે હોટેલમાં જમવા જતા હોય અને કેક કાપતા હોય છે. ત્યારે તેઓએ કીડીઓ માટે કીડીયારૂ પુરવાનો સેવાયજ્ઞ કર્યો હતો. આ અંગે લાભુભાઈએ જણાવ્યુ કે, વર્ષના 365 દિવસ હોય છે. ત્યારે વર્ષના દિવસોનું સવાયુ કરવા માટે 500 નાળીયેરમાં અમોએ કીડીયારૂ પુર્યુ છે. જેમાં કીડીયારા તરીકે પુરાતી સામગ્રી મેળવવી સરળ છે. પરંતુ આવા શ્રીફળ મળવા કઠીન હોય છે. અનેક વેપારીઓને ત્યાંથી થોડા થોડા શ્રીફળ લઈને 500 શ્રીફળ ભેગા કર્યા હતા. જેમાં સૌપ્રથમ મશીન વડે હોલ કરાયો હતો. અને પરિવારજનોએ સાથે મળી તેમાં કીડીયારૂ પુર્યુ હતુ. આ શ્રીફળ વન વગડામાં વૃક્ષના થડ પાસે, નિર્જન જમીનમાં ખાડો કરીને મુકાયા છે. એક શ્રીફળ પાછળ અંદાજે 25થી 27 રૂપિયાનો ખર્ચ થાય છે. અને આ એક શ્રીફળ કીડીઓ માટે અંદાજે 3 માસનો ખોરાક બની રહે છે. જન્મ દિવસની અનોખી ઉજવણીથી લાભુભાઈએ અન્ય લોકોને સેવાકીય કાર્ય કરવાની પ્રેરણા આપી છે.
કીડિયારામાં
શું શું વપરાયૂ ?
30 કિલો ઘઉંનો લોટ
5 કિલો તેલ
3 કિલો અમુલ ઘી
3 કિલો દાળીયા
11 કિલો દળેલી સાકર
2 કિલો ટોપરાનું છીણ
500 નંગ શ્રીફળ