થાનગઢમાં માવઠા બાદ સીરામીક ઉદ્યોગમાં વીજળી જતી રહી હતી. જે આશરે 12 કલાક પછી વીજ પુરવઠો પૂર્વવત થયો હતો. આ અંગે એસોસિએશનના બધા સભ્યોએ સીરામીક એસોસિયેશનમાં સતત લેખિત રજૂઆતો દ્વારા જાણ કરી હતી. એથી એસો.એ પીજીવીસીએલ થાનગઢના નાયબ ઇજનેર સાથે મીટીંગ બોલાવી હતી.
મીટીંગમાં એસોસીએશનના સભ્ય અમિત પ્રજાપતિ અને કિરીટ મેજડીયાએ આક્રમક રજૂઆતો કરી હતી. તેઓની માગણી હતી કે થાનગઢમાં શહેરી અને ગ્રામ્ય એમ બે અલગ ડિવિઝન હોવા જોઈએ, ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની અલગ પીજીવીસીએલ ગેંગ રાખવી જોઈએ અને સતત પ્રક્રિયાવાળા ઉદ્યોગમાં ટ્રીપિંગ આવવા ના જોઈએ. આ અંગે અધિકારી દ્રારા જણાવેલ કે સ્ટાફ્ પણ પૂરતા પ્રમાણમાં આપી દેવામાં આવ્યો છે. તેમની કામગીરી આવનારા દિવસોમાં દેખાશે અને જલ્દી નિરાકરણ કરવામાં આવશે. મિટિંગનું આયોજન પાંચાળ સીરામીક એસોસિએશન વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ સોમપુરા, કિર્તીભાઈ મારુ, નાનજીભાઈ પટેલ, સંજયભાઈ બદરખીયા, કિશોરભાઈ સાકરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ અંગે થાનગઢ પીજીવીસીએલ કચેરીના નાયબ ઈજનેર મિસ્ત્રીના જણાવ્યા મુજબ થાનગઢ ખાતે માવઠા બાદ વીજળી જતી રહેતા વીજ કંપનીની ટીમ તાત્કાલિક નવાગામ રોડ ઉપર પહોંચી હતી પણ ત્યાં ફેક્ટરીમાંથી જનરેટરનો રિટર્ન પાવર આવતા એક કર્મચારીને ગંભીર શોક લાગ્યો હતો. સદનસીબે તેઓ બચી ગયા હતા. આ ઘટનાને લીધે વીજળી પૂર્વવત કરવામાં થોડો વિલંબ થયો છે. આ ઉપરાંત શહેરી અને ગ્રામ્ય એમ બે વિભાજનની મંજૂરી મળી ગઈ છે. થોડા દિવસોમાં તે અંગે કામ પણ શરૂ થશે.