Health Benefits Of Sattu : ઉનાળામાં શરીર એનર્જી ઝડપથી ઘટી જાય છે અને ડિહાઇડ્રેશનનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, શરીરને ઠંડક અને પોષણ આપવાની સાથે સાથે ઉર્જાવાન રાખે તેવી ચીજોનું સેવન કરવું જરૂરી હોય છે, ઉનાળામાં આરોગ્ય માટે સત્તુ કોઈ સુપરફૂડથી ઓછું નથી. સત્તુ માત્ર શરીરને ઠંડક જ નથી આપતું, પરંતુ ઘણા રોગો સામે પણ રક્ષણ આપે છે. સત્તુ ભારતના ઘણા રાજ્યોમાં ગરીબોના પ્રોટીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાયટ ટુ નરિશના કો-ફાઉન્ડર પ્રિયંકા જયસ્વાલે સત્તુ ખાવાના ફાયદા જણાવ્યા છે.
ડાયટિશિયન પ્રિયંકા જયસ્વાલના જણાવ્યા અનુસાર સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવે છે, જે ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર છે. જાણકારોના મતે ઉનાળામાં તેના નિયમિત સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેના સેવનથી પાચનક્રિયા સુધરે અને હાડકા મજબૂત થાય છે.
પાચનતંત્રમાં સુધારો
સત્તુ પાચનતંત્ર માટે લાભકારી છે. સત્તુમાં ફાઇબર હોય છે, જે પાચનક્રિયાને સુધારે છે. તેનાથી પેટ સાફ રહે છે અને કબજિયાતની પણ સમસ્યા રહેતી નથી. ઉપરાંત ઉનાળામાં અપચો અને ગેસની સમસ્યાથી બચાવે છે.
હાકડાં મજબૂત થશે
સત્તુમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે હાડકાં મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે શરીરમાં કેલ્શિયમના શોષણને પ્રોત્સાહન આપે છે, જે હાડકાની ઘનતામાં વધારો કરે છે. તે બાળકો અને વૃદ્ધો માટે ખૂબ ફાયદાકારક છે.
ડિહાઇડ્રેશન સામે રક્ષણ
સત્તુ શરીરમાં ડિહાઇડ્રેશન અટકાવે છે. સત્તુમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવે છે, જેથી ડિહાઇડ્રેશનને અટકાવે છે. સત્તુનું શરબત પીવાથી ડિહાઇડ્રેશનથી બચી શકાય છે. સત્તુ સિરપ શરીરને ઠંડક આપે છે. ઉનાળામાં ડિહાઇડ્રેશનને રોકવા માટે આ એક કુદરતી રીત છે.
કુદરતી ઊર્જાનો સ્ત્રોત
સત્તુ ઊર્જાનો કુદરતી સ્ત્રોત છે, જે કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનથી ભરપૂર છે. તે શરીરને ત્વરિત ઉર્જા પ્રદાન કરે છે, ખાસ કરીને ઉનાળામાં જ્યારે લોકો ઘણીવાર થાક અનુભવે છે. વર્કઆઉટ બાદ અથવા દિવસભર થાકથી રાહત મેળવવા માટે સત્તુનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
બ્લડ સુગર કન્ટ્રોલ
સત્તુ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. સત્તુમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ નીચો હોય છે, તેથી તે બ્લડ સુગર લેવલ ઝડપથી વધારતું નથી. આ ઉપરાંત સત્તુમાં ફાઈબર વધારે માત્રામાં હોય છે, જે પાચન ક્રિયામાં સુધારો કરે છે અને બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
સત્તુનું સેવન કેવી રીતે અને ક્યારે કરવું?
- સત્તુ સવારે પાણીમાં ઓગળી સેવન કરવું.
- તમે સ્વાદ માટે તેમાં લીંબુ, કાળું મીઠું અને શેકેલું જીરું ઉમેરી શકો છો.
- સ્વાદ માટે સત્તુમાં ગોળ પણ ઉમેરી શકાય છે.
- દિવસમાં 1-2 વખત સેવન કરવું પૂરતું છે.