રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલતી હોવાનો જાણીતા કલાકારને કડવો અનુભવ થયો. લોકપ્રિય હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતાં કહ્યું કે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમના ફરજ પ્રત્યે ગંભીર નથી. ડોકટર ગમે તે સમયે હોસ્પિટલમા આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. સરકારી હોસ્પિટલમાં ડોકટરોની આવી કામગીરીના કારણે સરકારની છબી ખરડાઈ છે. હકાભા ગઢવીએ આક્ષેપ કરતા કહ્યું કે ડોક્ટરોની દાદાગીરી એટલી બધી વધી છે કે તેઓ મંત્રીને પણ ગાંઠતા નથી.
બહેન સાથે બની હતી અકસ્માતની ઘટના
હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે 15 દિવસ પહેલા તેમની બહેનનો અકસ્માત થયો હતો. બહેનના અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન વખતે તેમને કડવો અનુભવ થયો. હકાભા ગઢવીએ વધુમાં કહ્યું કે જો મારા જેવા નામાંકિત કલાકાર અને મારી વગ હોવા છતાં હોસ્પિટલના ડોક્ટરો બેદરકારીભર્યું વલણ દાખવી રહ્યા હતા. તો પછી ગરીબ દર્દીઓને તો શું સારવાર મળતી હશે? બહેન તેના પરીવાર સાથે રાજકોટથી હળવદ દર્શન કરવા પગપાળા જતા હતા ત્યારે રસ્તામાં એક ગાડીવાળાએ તેમની બહેનને ટક્કર મારી. કારની ટક્કરથી બહેન નીચે પટકાઈ અને બેભાન થઈ ગઈ. બહેનનો અકસ્માત થતા તાત્કાલિક મોરબીની હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી કહ્યું કે વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ લઈ જાઓ.
હકાભા ગઢવીને તંત્રને અપીલ
બહેનને રાજકોટ લઈ જતા હું પણ ત્યાં પંહોચ્યો પણ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરનો કોઈ અત્તોપતો ના મળ્યો. ડોક્ટરને વિનંતી કરી કે બહેનનો કેસ સિરીયસ છે છતાં કહ્યું કે વારો આવે ત્યારે આવજો. આખરે અકસ્માત જેવા કેસમાં 5 કલાકે સિટી સ્કેન થયું. અકસ્માત જેવા ગંભીર કેસમાં સારવારમાં આટલો બધો સમય થાય તો દર્દી સાથે વધુ ગંભીર બનાવ પણ બની શકે છે. સરકારની સિવિલ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ જેવી જ સુવિધા છે છતાં ડોક્ટરોની બેદરકારીના કારણે ગરીબો અને જરૂરિયાતમંદ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. આ સાથે કલાકાર હકાભા ગઢવીએ સરકારને વિનંતી કરી કે સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે સુવિધાના સાધન તો અપાય છે. પરંતુ ડોક્ટરો દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવતી નથી. તંત્ર દ્વારા ડોકટરોની કામગીરીને લઈને નિયમિત તપાસ થવી જોઈએ અને હોસ્પિટલના સત્તાધીશો આવા બની બેઠેલા ડોક્ટરો વિરુદ્ધ કડક પગલાં લે તેવી મારી માંગ છે.