રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆત થઈ હોવા છતાં શરદી-ઉધરસ અને તાવના કેસ યથાવત રહ્યા છે. આરોગ્ય વિભાગની ડોર ટુ ડોર કામગીરી દરમિયાન શરદી-તાવના 633 તેમજ મેલેરિયા, ટાઈફોડ અને કમળાના 4 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભગવતીપરામાં 3 દિવસ તાવ આવ્યા બાદ બેભાન થઈ જતાં 5 માસની બાળકી સાક્ષી અને ધોરણ-2માં અભ્યાસ કરતી 7 વર્ષની બાળકી ફરીદા સહિત બે બાળકીના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું જાણવા મળેલ છે. જેના લીધે આરોગ્ય વિભાગે મચ્છર ઉત્પતિ અને ગંદકી સબબ રહેણાંક તેમજ કૉમર્શિયલની 94 એકમોને નોટિસ ફટકારી પોરા નાશક અને ફોગીંગ કામગીરી વધુ તેજ બનાવી છે.
મચ્છરજન્ય રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.10/3/2025 થી તા.16/03/2025 દરમ્યાન પોરા નાશક કામગીરી હેઠળ 15,925 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 755 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. જ્યારે સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટિસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.
આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 180 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂઆલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 73 અને કોર્મશીયલ 21 આસામીને નોટીસ આપવામાં આવેલ છે.
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10-10-10નું સૂત્ર અપનાવવું. જેમાં પ્રથમ 10: દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10: ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરિયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિન ઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10: આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી પહોંચાડવી. આમ માત્ર 10 મિનિટ આપને તેમજ આપના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.