Porbandar: લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો નાગાર્જુન સિસોદિયા પાર્ક બિસ્માર હાલતમાં

0
4

વર્ષ 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં છાંબના મોરચે પોરબંદરનો યુવાન શહીદ થયો હતો, ત્યારે તેની સ્મૃતિમાં નાગાર્જુન સિસોદિયા પાર્કનું નિર્માણ થયું છે. બસ ડેપો સામે આવેલા આ સ્મારક રૂપી બાગ જાળવણી વગર બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે, અહીં બેસવાની પુરતી વ્યવસ્થા પણ નથી, ત્યારે તેને યોગ્ય કરવા માગ ઉઠી છે.

શહીદ નાગાર્જુન સિસોદિયાની સ્મૃતિમાં બાગ બનાવેલો

પોરબંદરમાં શહીદવીર નાગાર્જુન સિસોદિયા પાર્કને લાખો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે, પરંતુ અહીં બાળ મનોરંજનના સાધનો તુટી-ફૂટી ગયા છે. શહીદ નાગાર્જુન સિસોદિયાની સ્મૃતિમાં બાગ બનાવેલો છે અને તેમાં શહીદ નાગાર્જુન સિસોદિયાની પ્રતિમા પણ મુકવામાં આવેલી છે, આ બાગના નવિનીકરણના નામે લાખો રૂપિયાનો ખર્ચ ગુજરાત સરકારની સ્વર્ણિમ યોજના હેઠળ કરવામાં આવ્યો હતો.

બાગમાં લોન પણ સુકાઈ ગયું

નવિનીકરણના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર નગરપાલિકાના તત્કાલીન અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળીને કર્યો હોય તેમ બગીચામાં જુના વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે અને આખા બગીચામાં નબળી ગુણવત્તાના બ્લોક વાપરવામાં આવ્યા છે. બગીચામાં લોન બનાવવા માટે કાળી અને ફળદ્રુપ માટી નાખીને લોન વાવવાની હોય છે, પરંતુ અહીં ખારી અને ચીકણી માટી ભરીને લોન નાખવામાં આવી હતી તેથી લોન સુકાઈ ગઈ છે.

બાળ મનોરંજનના સાધનો પણ તુટેલી હાલતમાં

લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા આ બગીચામાં બાળ મનોરંજનના સાધનોમાં પણ તોડફોડ થઈ છે, અહીં રોપા વાવીને ત્યાં ફેન્સીંગ કરવી જોઈએ, જેથી વૃક્ષોને અને રોપાઓને નુકસાન થતું અટકાવી શકાય. આ ઉપરાંત અગાઉ અહીં લાકડાની બેન્ચ મુકવામાં આવી હતી, જ્યાં લોકો બેસતા હતા. પરંતુ હાલમાં તમામ લાકડાની બેન્ચ ગાયબ થઈ ગઈ છે, માત્ર સિમેન્ટની 2 બેન્ચ બેસવા લાયક રહી છે. અન્ય સિમેન્ટની બેન્ચ પણ તૂટેલી હાલતમાં છે તો બીજી તરફ અહીંના બે ઓટલા પર પણ તિરાડો હોવાથી ત્યાં પણ બેસી શકાય તેમ નથી. આથી લોકોએ ન છુટકે જમીન પર બેસવું પડે છે, બાગ બપોરના સમયે બંધ રાખવામાં આવે છે, જેના લીધે હાલ કાળઝાળ ગરમીમાં આરામ કરવા અથવા બેસવા આવતા લોકો પણ તાળું નિહાળી પરત જાય છે અથવા તો દીવાલો ઠેકીને અંદર પ્રવેશ કરવો પડે છે. શહીદની સ્મૃતિમાં સ્મારક બનાવવામાં આવ્યું છે, તેથી શહીદની ગરિમા જળવાય એ રીતે વ્યવસ્થા કરવાને બદલે મહાનગરપાલિકાનું બેદરકાર તંત્ર આ સ્મારક પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન છે.

સત્તાધીશોને માત્ર પ્રજાના પૈસા તાગડધીના કરવામાં જ રસ!

પ્રજાના કરવેરાના નામે તાગડધીના કરનારા નગરપાલિકાના અધિકારીઓ સત્તાના નશામાં ગળાડૂબ છે, તેને ભાષણોમાં શહીદો માટે સારા શબ્દો નીકળે છે પણ અમલ કરવામાં જરાય રસ નથી. બગીચામાં મોટાભાગની સ્ટ્રીટલાઈટો બંધ છે, તેથી રાત્રીના સમયે અહિયાં દિવાલ ટપીને ઘુસી જતા આવારા તત્વો અનૈતિક પ્રવૃત્તિ કરતા હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી, તેથી આ સ્મારકની જાળવણી વ્યવસ્થિત રીતે કરવી જોઈએ તેમજ બેસવા માટે પુરતી બેન્ચોની વ્યવસ્થા પણ કરવી જોઈએ તેવી માગ ઉઠી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here