પોરબંદર મહાનગરપાલિકા બનતા અનેક જગ્યાએ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, હાલ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને જેમાં કલેક્ટરે સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા જનતાને અપીલ કરી છે. જિલ્લા કલેકટર એસડી ધાનાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલ કમિશનર, એસ.પી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી
પોરબંદર મહાનગરપાલિકા અને પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે અને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા માટે જિલ્લા કલેકટર એસ.ડી ધાનાણીએ જનતાને અપીલ કરી છે. હાલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગેરકાયદેસર થયેલા દબાણો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કોમર્શિયલ તથા રેસીડેન્સિયલ મિલકતોને પણ ગેરકાયદેસર દબાણ કર્યું હોય તો નોટિસ ફટકારવામાં આવી રહી છે.
જામનગરમાં 20 જેટલા અનઅધિકૃત ઝુંપડા તથા બાંધકામ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા
થોડા દિવસ પહેલા જ જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. 7 રસ્તા પેટ્રોલ પંપથી સંતોષી માતાના મંદિર સુધીના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કેનાલ ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા 15થી 20 ઝૂંપડાઓને દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણને કારણે પ્રી-મોનસૂન સફાઈની કામગીરી અટકી પડી હતી. સાથે જાહેર માર્ગ પર ન્યૂસન્સ ફેલાતું હતું. આ કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એસ્ટેટ વિભાગના કાર્યપાલક અધિકારી મુકેશ વણરવાની દેખરેખ હેઠળ જેસીબી મશીન અને ટ્રેક્ટર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ સાત રસ્તાથી ખોડીયાર કોલોની સુધીના જાહેર માર્ગને પહોળો કરવા માટે પણ આ કાર્યવાહી હાથ ધરી હતી.