રાજ્યમાં નક્લીની બોલબાલા વધી રહી છે. ક્યારેક નકલી ઘી તો ક્યારેક પનીર કે બટર સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓ માર્કેટમાં વેચાણ માટે ઉતારી રાતોરાત કમાઈ લેવાની લ્હાયમાં ભોળી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણની સિધ્ધપુર જીઆઈડીસીની મેટ્રો ઓઈલ મિલમાંથી લાખો રૂપિયાનો શંકાસ્પદ તેલનો જથ્થો હાથ લાગ્યો છે.
SOG અને ફૂડ વિભાગની ટીમે લાખોની કિંમતનો જથ્થો ઝડપી લીધો
SOG અને ફૂડ વિભાગ દ્વારા સિદ્ધપુર GIDCમાં આવેલા 133, 134 અને 135 નંબરના ગોડાઉનમાં તેલનું ભેળસેળ યુક્ત લાખોની કિંમતનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ગોડાઉનના સંચાલક ભરત મોદી નામના શખ્સ સહિત અન્ય બે શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળેથી તેલની 4 ટાંકીમાં ભરેલું 10,500 લીટર તેલ સાથે જ 15 લીટરના 262 ડબ્બા, 5 લીટરના 312 કેન, 2 લીટરના 400 કેન, 1 લીટરની 416 બોટલ, 500mlની 680 બોટલ તેમજ તેલમાં ભેળસેળ કરવા વપરાતા વિટામિન A ભરેલી એલ્યુમિનિયમની બોટલો સહિતનો મોટો જથ્થો મળી કુલ રૂપિયા 20.31 લાખનો મુદ્દામાલ સીઝ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
રાજકોટમાં ભેળસેળયુક્ત ઘી વેચવાની ઘટના
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા રાજકોટમાં ભેળસેળયુક્ત ઘી વેચવાની ઘટના સામે આવી હતી. આરોગ્ય વિભાગના ઓફિસર હાર્દિક મહેતાએ નિવેદન આપતા કહ્યું કે 3 મહિના પહેલા ડેરીમાંથી ઘીના નમૂના લીધા હતા. ગાયનું ઘી સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરાયું હતું. SOGએ રેડ કરીને શંકાસ્પદ પનીરનો જથ્થો પણ પકડ્યો હતો. પ્યોર પનીરમાં વેજીટેબલ ફેટ મળી આવ્યું હતું. દૂધ ફાડીની પનીર બનાવવામાં એસિડિક એસિડ વાપરવામાં આવતું હતું. આવું પનીર ખાવાથી આંતરડાની બીમારી લોકોને થઈ શકે છે.