પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પાસે આવેલા ધનેશ્વર ગામના જૈન દેરાસરમાં મહાવીર સ્વામી સહિત 3 મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં ભારે આક્રોશ છે. સોમવારે (10 માર્ચ) બનેલી ઘટના બાદ પોલીસે મૂર્તિઓ ખંડિત મામલે 3 આરોપીની ધરપકડ કરી છે.
મહાવીર સ્વામી સહિત 3 મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં ભારે આક્રોશ
ધનેશ્વર ગામમાં વિજય ઈન્દ્ર જગત વિદ્યાલયના પટાંગણમાં ભગવાન મહાવીર સ્વામીનું જિનાલય આવેલું છે. રવિવારે કેટલાંક અજાણ્યા ઈસમો દ્વારા દેરાસરના મિજાગરા નકુચા તોડી અંદર બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. પલાઠી અને હાથ તોડી નાખવામાં આવ્યા છે. ગર્ભગૃહ બહાર સ્થાપિત ગૌતમ સ્વામીની પ્રતિમાનો તો પલાઠી સિવાયનો સંપૂર્ણ ભાગ તોડી પડાયો છે અને વલ્લભસુરી મહારાજની મૂર્તિનું માથું ધડથી અલગ કરી દેવાયું છે. આ ઘટનાની જાણ વાયુવેગે જૈન સમાજમાં પ્રસરી જતાં ભારે આક્રોશનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
સામાન્ય બાબત અને મસ્તીમાં મૂર્તિઓ ખંડિત કરી
પંચમહાલના ઘોઘંબા તાલુકા ના ધનેશ્વર ગામેં જૈન દેરાસર માં મૂર્તિઓ ખંડિત કરવા મામલે પોલીસે ગણતરીના કલાકમાં જ મૂર્તિઓ ખંડિત કરનાર 3 આરોપીની ધરપકડ કરી છે. ત્રણે આરોપીઓ ધનેશ્વર ગામના જ રહેવાસી હોવાની વિગતો મળી રહી છે. મેદાનમાં ક્રિકેટ રમતા રમતા કેમ્પસમાં જ આવેલ દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરવાનો આ તત્વોએ અટકચાળો કર્યો હતો. દેરાસર નજીક પડેલા પથ્થરોથી મૂર્તિઓને ખંડિત કરી હતી. આ સમગ્ર મામલે આરોપીઓની પ્રાથમિક પુરછપરછમાં કબૂલાત કરી છે. પોલીસે આરોપીઓ સામે બી.એન. એસ 2023 ની કલમ 299 અને 324/2 મુજબ ગુન્હો નોંધ્યો હતો. ત્રણેની ધરપકડ બાદ સામાન્ય બાબત અને મસ્તીમાં જ યુવાનોએ મૂર્તિઓ ખંડિત કરી હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે.
જૈન સમાજની લાગણી દુભાણી
આ મામલે જૈન અગ્રણીઓએ મંગળવારે ઘોઘંબાના રાયગઢ પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ. બી.ટી. બુટીયાને રજૂઆત કરી હતી કે, આરોપીઓને શોધી કાઢવામાં આવે. દુનિયાભરમાં વસતા લાખો જૈનોની ધાર્મિક લાગણી દુભાણી છે. મામલાની ગંભીરતા જોતા પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને શકમંદો તથા સીસીટીવીના ફૂટેજના આધારે આ ઘટના ને અંજામ આપનાર તત્ત્વો ઉપર ગાળીયો કરવામાં આવી રહ્યો છે.