નડિયાદ માતૃછાયા અનાથ આશ્રામ બહાર આવેલ પારણામાં આજે વહેલી સવારે કોઈ અજાણી વ્યક્તિ એક નવજાત શિશુને તરછોડીને જતી રહી હતી. બનાવનીજાણ માતૃછાયા આશ્રામના સ્ટાફને થતા તેઓ તુરતજ સ્થળ પર દોડી આવ્યા હતા. અને નવજાતને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. નવજાતને તરછોડી જનાર કોણ છે તે મામલે હાલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
નડિયાદ વૈશાલી રોડ પર રહેતા સંદિપભાઈ પરમારે આ મામલે ફરિયાદ આપી હતી. તેમણે જણાવ્યું હતુંકે તેઓ નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં નિલકંઠ મહાદેવ નજીક આવેલ માતૃછાયા અનાથ આશ્રામમાં છેલ્લા 25 વર્ષથી અધિક્ષક તરીકે ફરજ બજાવે છે. આજે તા.10 માર્ચ 2025ના રોજ સવારના પોણા છ વાગ્યાના સુમારે સંસ્થાના મુખ્ય દરવાજાની બહાર પારણામાં કોઈ અજાણી વ્યક્તિ એક નવજાતને મુકી ગઈ હોવાની જાણ તેમને થતાં તેઓ તુરતજ સ્થળ પર પહોંચ્યા હતા. જેથી તેમણે સ્થળ પર પહોંચી જોતા આશરે સાતેક દિવસનું પુરુષ બાળક હતું. તેમને અન્ય સ્ટાફ સાથે મળી તુરતજ બાળકને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. અને આ મામલે સંદિપભાઈએ નડિયાદ પશ્ચિમ પોલીસને જાણ કરતાં પોલીસે બાળકને ત્યજી જનાર અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.