નડિયાદના દિવ્યાંગો માટે વ્હીલચેર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જે.ડી.પટેલ ગ્રાઉન્ડમાં ભવ્ય વ્હીલચેર ક્રિકેટ મેચ યોજાઈ. આ ટુર્નામેન્ટમાં દિવ્યાંગ ક્રિકેટરોએ વ્હીલચેર પર ક્રિકેટ રમી પોતાનું અનોખું કૌશલ્ય પ્રદર્શિત કર્યું. નડિયાદ ખાતે નેક્સેસ ગ્રૂપ અને અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઇ પટેલના સૌજન્યથી દિવ્યાંગો માટે આ વિશેષ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્હીલચેર ક્રિકેટ મેચમાં ઇન્ડિયા B ટીમ વિજેતા બની.
અન્ય રાજ્યોના ખેલાડીએ લીધો ભાગ
જે.ડી.પટેલ ગ્રાઉન્ડમાં યોજાયેલ ભવ્ય વ્હીલચેર ક્રિકેટ મેચમાં હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, જમ્મુ કશ્મીર સહિતના રાજ્ માંથી દિવ્યાંગ ખેલાડીઓએ વ્હીલચેર ક્રિકેટ મેચમાં ભાગ લીધો હતો. ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ મનીષભાઈ પટેલે આ ટુર્નામેન્ટ દરમિયાન નિવેદન આપતા કહ્યું કે એક ભારત, શ્રેષ્ઠ ભારતની થીમ પર વ્હીલચેર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલ અંતર્ગત ઇન્ડિયા A અને ઇન્ડિયા B એમ દિવ્યાંગોની બે ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી. ભારતમાં રમાતી સામાન્ય ક્રિકેટમેચની જેમ જ બધા નિયમો અનુસાર આ મેચ રમાઈ હતી. અત્યાર સુધીમાં નેશનલ ટુર્નામેન્ટ વડોદરા ખાતે ચાર વખત અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં એશિયા સિરીઝ રમી હતી.
દિવ્યાંગ ક્રિકેટરો બન્યા પ્રેરણાસ્ત્રોત
બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને ઇન્ડિયા વચ્ચેની ઇન્ટરનેશનલ મેચમાં ઇન્ડિયન ટીમે એશિયા સિરીઝ ટુર્નામેન્ટ જીતી હતી. મનીષભાઈએ કહ્યું કે 15 ઓવરની આ મેચ ખૂબ રોમાંચક રહી હતી.આ મેચમાં ઉત્કૃષ્ટ એમ્પાયરિંગ પણ દિવ્યાંગ યુવાન દ્વારા વ્હીલચેર પરથી જ કરવામાં આવ્યું હતું. નડિયાદના જે.ડી.પટેલ ગ્રાઉન્ડમાં રમાતી વ્હીલચર ક્રિકેટ મેચ જોવા આસપાસથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. લોકોની ભીડે દિવ્યાંગ ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. 15 ઓવરની મેચ દરમિયાન ચોગ્ગા, છગ્ગા અને વિકેટ પડતા લોકોએ તાલીઓથી દિવ્યાંગ ક્રિકેટરોને પ્રોત્સાહન આપ્યું. વ્હીલચર મેચમાં ભાગ લેનારા દિવ્યાંગ ક્રિકેટરોએ સાબિત કર્યું કે ‘મન હોય તો માળવે જવાય’ અને મહેનત અને સંઘર્ષ થકી તમારા સપના પૂર્ણ કરી શકશો તેવી લોકોને પ્રેરણા પૂરી પાડી.