વર્તમાન સમયમાં આપણે જોઈએ છે કે પાપ, દૂરાચાર, અધર્મ, દુર્ગુણો, અનીતિ સહિતના તમામ વિકારો લોકો પર હાવી થઈ રહ્યા છે અને તેનું મૂળ કારણ છે સનાતન ધર્મના સંસ્કારોથી દૂર થઈ લોકો પશ્ચિમી સંસ્કૃતિને અપનાવી રહ્યા છે, ત્યારે મનુષ્યના જન્મથી જીવનના ઘડતર માટે 16 સંસ્કારો સનાતન ધર્મમાં આપવામા આવ્યા છે.गर्भाधानं पुसवनं सीमन्तो जातकर्म च नामक्रिया निष्क्रमणो अन्नप्राशनं वपनाक्रिया । कर्णवध व्रतोदेशो वेदारंभक्रियाविधिः केशान्तः स्नानमुद्धोहो विवाहग्नि परिग्रहः प्रेताग्निसंग्रहश्ये ति संस्कारोः षोडशः।
જે પૈકી ગર્ભ સંસ્કાર એ મનુષ્ય માટે અતિ મહત્વનું છે
ગર્ભાધાન સંસ્કારથી સંતાનમાં દુર્ગુણો અને દોષોનો નાશ થાય છે તેમજ સદગુણોમાં વૃદ્ધિ થાય છે અને શરીર, મન, બુદ્ધિ, ચીત્ત ને શું વ્યવસ્થિત રીતે તૈયાર કરવા માટે ગર્ભાધાન સંસ્કાર એ ખૂબ જ જરૂરી છે, ત્યારે નડિયાદમાં સંતરામ મંદિર દ્વારા નિ:શુલ્ક તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે અને અનેક ગર્ભવતી મહિલાઓ તેનો લાભ પણ લઈ રહી છે ત્યારે આવો જોઈએ કેવી રીતે આપવામા આવે છે ગર્ભ સંસ્કાર અને શું છે તેનુ મહત્વ.
ગર્ભ સંસ્કાર કેન્દ્ર છેલ્લા 12 વર્ષથી ચાલે છે
દરેક વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે કે તેમનું સંતાન એ સર્વશ્રેષ્ઠ હોય તેનામાં કોઈ પણ પ્રકારના દુર્ગુણો, દોષો ન હોય અને તેને સાર્થક કરવા માટે ગર્ભાધાન સંસ્કાર એ ખૂબ જ મહત્વના પુરવાર થયા છે અને તેના અનેક દાખલાઓ પણ મળ્યા છે. નડિયાદ શહેરમાં પૂ.રામદાસ મહારાજ દ્વારા અને પૂ.નિર્ગુણદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ શ્રી સંતરામ મંદિર દ્વારા સંચાલિત શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર છેલ્લા 12 વર્ષથી ચાલે છે, આ ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં સનાતન ધર્મ સંસ્કૃતિ પ્રમાણે 16 સંસ્કારો પૈકી 10 સંસ્કારો આજ ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં આપવામાં આવે છે, અને અત્યાર સુધીમાં 9,000 થી વધુ દીકરીઓએ ગર્ભ સંસ્કારનો લાભ લીધો છે.
સૌપ્રથમ દીપ જ્યોતિ પ્રાર્થનાથી શરૂઆત થાય છે
શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં એક થી પાંચ વાગ્યાનો સમય હોય છે જેમાં ગર્ભવતી મહિલાઓ પોતાના દૈનિક ઘરેલુ કાર્ય પૂર્ણ કરી કેન્દ્રમાં આવે છે, જ્યા તેમને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેમાં સૌપ્રથમ દીપ જ્યોતિ પ્રાર્થનાથી શરૂઆત થાય છે ત્યારબાદ બ્રેઈન એક્ટિવિટી,રીડિંગ, ટી.વી દર્શન, ધ્યાન, પ્રાણાયમ, યોગાસન, યોગનિંદ્રા, નાદ દ્વારા ગર્ભ સંસ્કાર (સાઉન્ડ હિલીંગ થેરેપી) ત્યારબાદ તમામ દીકરીઓને પૌષ્ટિક નાસ્તો આપી દિવસ પૂર્ણ કરવામાં આવે છે.. આ તમામ પ્રવૃત્તિઓ કરાવવા પાછળ ઘણું જ વિશેષ મહત્વ રહેલું હોય છે.
ગર્ભાવસ્થાની પવિત્ર અવસ્થામાં માતાઓને યોગ્ય માર્ગદર્શન અને જ્ઞાન પ્રદાન કરવામાં આવે
આ ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં આવ્યા બાદ અનેક મહિલાઓને તેના ઉત્કૃષ્ટ ફળ પણ મળ્યા છે. ઘણી મહિલાઓ એવી પણ જોવા મળી કે જેમણે એકવાર ગર્ભ સંસ્કાર કેન્દ્રનો લાભ લીધા બાદ પોતાના સંતાનોમાં જોવા મળેલ વિશેષતાઓ અને સદગુણોને લઈ ફરીવાર ગર્ભ ધારણ કર્યાથી ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં લાભ લેવા માટે આવી હોય ત્યારે આવો જાણીએ ગર્ભ સંસ્કાર કેન્દ્રનો લાભ લઈ રહેલ મહિલાઓ પાસેથી તેમના અનુભવો, આમ આ “તપોવન” એ માત્ર એક ગર્ભ સંસ્કાર કેન્દ્ર નથી, પરંતુ માતાઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે એક પવિત્ર યાત્રા છે. આ કેન્દ્ર દ્વારા ગર્ભાવસ્થાની પવિત્ર અવસ્થામાં માતાઓને યોગ્ય માર્ગદર્શન અને જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે, જેથી તેઓ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ રહે અને તેમના સંતાનો પણ સ્વસ્થ અને સંસ્કારી બને.