જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર થયેલા અગ્નિકાંડમાં ત્રણ જિંદગી હોમાય હતી, તેની શ્યાહી ભુંસાઈ નથી, ત્યાં મહાનગરપાલિકાની બેદરકારીથી જૂનાગઢના સાબલપુર રોડ ઉપર મહાનગરપાલિકા દ્વારા ચાલતા કામ માટે ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાતા તેમાં પડી જવાથી 13 વર્ષના અમન હુસેનભાઈ ખેબર નામના સગીરનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. આ સમગ્ર મામલાને લઈને મહાનગરપાલિકા દ્વારા બેદરકારી દાખવ્યાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા
કારણ કે જે જગ્યાએ ખાડો ખોદવામાં આવ્યો હતો, ત્યાં કોઈ બેરીકેટ કે બેનર લગાવવામાં આવ્યા ન હતા. જેથી લોકોને જાણ થઈ શકે. સામાજિક આગેવાનો પણ હવે મેદાનમાં પડ્યા છે અને મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. તેમજ કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં ન્યાયિક તપાસ કરવા માગણી કરવામાં આવી છે તેમ જ જવાબદાર સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવા માગણી કરાઈ છે.
સાડા સાત વર્ષથી આ પરિસ્થિતિ સામે લોકો ત્રાહિમામ પોકારી ગયા
બીજી તરફ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ સમગ્ર મામલા લઈને તપાસ કરાવવામાં આવતા ઘટના સ્થળ પર કોન્ટ્રાક્ટર દ્વારા બેરીકેટ અને બેનર લગાવ્યા હતા. આ ઉપરાંત ત્રણથી ચાર યુવાનો અહીં નાહવા માટે પણ ગયા હતા. જેમાંથી અમન ખેબર નામના સગીરનું મૃત્યુ થતાં દુઃખદ ઘટના પણ ગણાવી હતી, તેમ છતાં પણ હજુ તપાસ ચાલુ છે અને જો યોગ્ય લાગશે તો કાર્યવાહી કરવાથી પણ મહાનગરપાલિકા દ્વારા તૈયારી બતાવવામાં આવી છે. જુનાગઢ મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક વ્યક્તિ ભોગ બન્યું છે અને જુનાગઢ મહાનગરપાલિકા જાણે કે નિર્દોષ લોકોનો ભોગ લેવા માટે જ એક પછી એક રોડ અને ગટરના કામ ચાલુ જ રાખે છે. સાડા સાત વર્ષથી આ પરિસ્થિતિ સામે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.