જૂનાગઢ જિલ્લાના સરપંચો અને તલાટી મંત્રી યુનિયન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સામે મોરચો માંડ્યો છે. ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓ અને સરપંચોને ખોટી રીતે હેરાન કરતા હોવાના અને મનસ્વી વર્તન દાખવતા હોવાના આક્ષેપોને લઈ જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
જૂનાગઢ જિલ્લામાં વહીવટી તંત્ર અને સ્થાનિક સ્વરાજ્ય વચ્ચે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના અનેક સરપંચો અને તલાટી મંત્રી યુનિયન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન વિરુદ્ધ મનસ્વી વર્તન અને તાનાશાહીના આક્ષેપો કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે . તાજેતરમાં સંપૂર્ણ મામલો વધુ ઘેરાયો છે, કારણ કે DDO દ્વારા સરપંચો વિરુદ્ધ ડેડસ્ટોક માલસામાનની વસૂલાત કરવાનો આદેશ આપ્યો હતો. આ પગલાંનો જિલ્લા સરપંચ યુનિયને ઉગ્ર વિરોધ કર્યો છે. મનરેગા અને અન્ય વિકાસ કાર્યોથી સરપંચોને દુર રાખવામાં આવી રહ્યા છે. સરકાર તરફથી મંજૂર પાંચ લાખ રૂપિયાના કામો DDO દ્વારા એકત્રિત કરીને ટેન્ડર પ્રક્રિયામાં મૂકી દેવામાં આવે છે.
રાજીનામા આપવાની આપી ચીમકી
જુનાગઢ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કરાતા કામો છેલ્લાં એક વર્ષથી બંધ છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારીમાંથી વંચિત રહેવું પડે છે. તાલુકા અને જિલ્લા સ્તરે સરપંચોની ભૂમિકા ને અસ્વીકાર કરવાની કોશિશ થઈ રહી છે. જૂનગઢ જિલ્લામાં ખોટી રીતે રીતે તલાટી મંત્રીઓને છૂટા કરી દેવામાં આવતા તલાટી મંત્રી એસોસિયેશનમાં રોશ ફેલાયો છે અને આજે જિલ્લા વિકાસ અધિકારી ને યોગ્ય નિર્ણય લઈ અને તલાટી મંત્રીઓને ખોટી રીતે હેરાન ન કરવા માં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આગામી સમયમાં જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સરપંચો રાજીનામાં ધરી દેવામાં આવશે અને જિલ્લા વિકાસ અધિકારીની કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.