હળવદ શહેરના વોર્ડ નં. 7 પંચમુખી વિસ્તારમાં રહેતા વિજયભાઈ સુરેશભાઈ ઝીંઝુવાડીયા નામના યુવાન તેના પરિવારજનો સાથે કંઈક બાબતે રીસાઈને બુધવારે સાંજથી ઘરે કહ્યા વિના બહાર નીકળી ગયો હતો.
પરિવારજનો માટે આ ઘટના અત્યંત ચિંતાજનક બની હતી, કારણકે યુવાનનો મોબાઇલ પણ બંધ આવતો હોવાથી તેમના સંપર્કમાં આવવું અશક્ય બન્યું હતું. પરિવારજનો દ્વારા તુરંત જ હળવદ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. એથી પોલીસે ઘટનાને ગંભીરતાપૂર્વક લીધી અને તરત જ યુવાનની શોધખોળ શરૂ કરી હતી. જેમાં વિવિધ વિસ્તારના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સની મદદ અને મિત્રવર્તુળની માહિતીના આધારે પોલીસ ટીમ અને સામાજિક આગેવાનો અને પરિવારજનો દ્વારા યુવાન સુધી પહોંચવાની કોશિશ ચાલુ રાખી હતી. સતત પ્રયાસો બાદ થોડા કલાકોમાં યુવાનને સુરક્ષિત સ્થિતિમાં શોધી કાઢવામાં આવ્યો હતો. યુવાન ધ્રાંગધ્રા તાલુકાના હરિપર પાસેથી સહી સલામત મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત પોલીસ અને સામાજિક આગેવાનોએ યુવાનને સમજાવી અને સમાધાનકારક માર્ગદર્શન આપ્યું હતું. પરિવારજનોની આંખમાં આંસુ હતા પણ એ ખુશીના હતા. કેમ કે તેમનો ગુમ થયેલો પુત્ર હવે ફરી ઘરે પાછો ર્ફ્યો હતો. આમ હળવદ પોલીસે તેઓ પ્રજાના સાચો મિત્ર છે. એ સૂત્રને પણ ચરિતાર્થ કર્યું હતું.