ગુજરાતમાં આગામી 19મી જૂનના રોજ કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. આ ચૂંટણીમાં ચોપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપે બંને બેઠકો જીતવા માટે નેતાઓની ફોજ ઉતારી ખાટલા બેઠકો શરૂ કરી દીધી છે. ત્યારે ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ જાણે ક્યાંય દેખાતી ના હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓના અસલી રંગ જોવા મળ્યા છે. અમદાવાદ શહેર પ્રમુખ સામે આક્ષેપ કરનાર કોંગ્રેસના નેતા અમિત નાયકે રાહુલ ગાંધીને પત્ર લખીને રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે બંને બેઠકો પર કોંગ્રેસના પ્રચારમાં પણ ગંભીર ખામીઓ જોવા મળી છે.
કોંગ્રેસે વિસાવદર અને કડીમાં ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે
કોંગ્રેસે વિસાવદર અને કડીમાં ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે. આ પ્રચાર દરમિયાન એક વીડિયોમાં કોંગ્રેસની મોટી ભૂલ સામે આવી છે. કોંગ્રેસ છોડીને ભાજપમા ગયેલા નેતાઓનો પોસ્ટરમાં સમાવેશ કરાયો છે. અર્જુન મોઢવાડિયા, નરેશ રાવલ અને દિનેશ શર્માનો કોંગ્રેસના પોસ્ટરમાં સમાવેશ કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયાં છે. અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. નરેશ રાવલ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા છે. જ્યારે દિનેશ શર્મા અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા છે. અર્જુન મોઢવાડિયા, નરેશ રાવલ અને દિનેશ શર્માએ કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
ભાજપનો ખેસ ધારણ કરી ગયેલા નેતાઓને પોતાના પોસ્ટરમાં સ્થાન
કોંગ્રેસના બંને ઉમેદવારો હાલમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગયાં છે. પરંતુ કોંગ્રેસમાં ક્યાંકને ક્યાંક ઉકળતો ચરૂ જોવા મળ્યો છે. અંદરો અંદરના જૂથવાદમાં કોંગ્રેસે ભાજપનો ખેસ ધારણ કરી ગયેલા નેતાઓને પોતાના પોસ્ટરમાં સ્થાન આપી દેતા અનેક પ્રકારની રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી ટાણે જ કોંગ્રેસના લગ્ન અને રેસના ઘોડાઓ સામ સામે આવી ગયાં છે. ત્યારે ચૂંટણીમાં આટલી મોટી ભૂલ કોંગ્રેસ દ્વારા થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ પોસ્ટરો નવા છે કે જૂના તે અંગે કોંગ્રેસના એક પણ નેતાની ટિપ્પણી હજી સુધી સામે આવી નથી.