કલોલ તાલુકાના મોખાસણ ગામે હત્યાનો બનાવ બન્યો છે, પ્રેમ સંબંધ બાબતે બે ભાઈઓએ ભેગા મળી એક આધેડને માથામાં લોખંડના સળિયા ફટકારી અને પેટમાં છરાના ઘા મારી દેતા આધેડના આંતરડા બહાર નીકળી ગયા હતા. મોખાસણમાં રહેતા રતનજી છનાજી ઠાકોરની પ્રેમ સંબંધ બાબતે હત્યા કરવામાં આવી હતી.
મોખાસણમાં 2 યુવકોએ છરીના ઘા મારી કરી હત્યા
ત્યારે આરોપીઓ સંજય ઉર્ફે મંગો અમરાજી ઠાકોર તથા જયેશ અમરાજી ઠાકોરે રતનજી ઠાકોરની હત્યા કરી હતી. રતનજીને સંજય અને જયેશની માતા સાથે પ્રેમ સંબંધ હોવાથી તેની અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. રતનજી કડિયા કામ કરવા માટે ગામમાં આવ્યા હતા, ત્યાં આ બંને જણા પહોંચી ગયા હતા અને તેમને માથામાં લોખંડના સળિયા માર્યા હતા. ત્યારબાદ તે ભાગવા જતા તેમને પેટના ભાગે છરા મારવામાં આવ્યા હતા.
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલ્યા
ત્યારે બંને ભાઈઓએ પેટના ભાગે છરાના ઘા માર્યા જેના કારણે રતનજી ઠાકોરના આંતરડા બહાર નીકળી ગયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ પોલીસને થતાં તાત્કાલિક કલોલ તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હત્યા કરનાર બંને આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને હાલમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.