ધંધૂકા શહેરની અશરફી સોસાયટીની મહિલાઓ પાલિકા કચેરી ખાતે પહોંચી પાલિકા પ્રમુખને તેમની સોસાયટીમાં પાછલા 7 વર્ષથી પાણીનો પ્રશ્ન છે. સફાઈ કર્મચારી આવતા જ નથી. તે મુદે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ગમે તે ભોગે હવે અમને પાણી આપો અને સફાઇ કર્મચારી આપો તેવી માંગ કરી હતી. પાલિકા પ્રમુખ પારૂલબેન આદેશરા અને કારોબારી ચેરમેન રાજેશ પરમાર દ્વ્રારા મહિલાઓની રજૂઆતને લઈ હાલ તાત્કાલિક અસર થી પાણીની સમસ્યાનો કોઈ વૈકલ્પિક ઉપાય કરવાની હૈયાધારણ આપી આગામી દિવસોમાં સત્વરે પાણીના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવાની ખાતરી અપાઈ હતી.
ધંધૂકા પાલિકા વિસ્તારની અશરફી સોસાયટીની મહિલાઓએ સામુહિક રીતે પાલિકા ખાતે પહોંચી પ્રમુખને રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે પાછલાં 7 વર્ષ થી તેઓ પાણી ની સમસ્યા થી પીડાઈ રહ્યા છે અને વારંવારની રજૂઆતો છતાં કોઈ નિરાકરણ આવતું નથી. પાણીની લાઇન બાબતે મંજુરી પણ મળી ગઈ હોવા છતાં સ્થાનિક પાલિકા તંત્ર કોઈ કામગીરી કરતું નથી. તેવા આક્ષેપ લગાવ્યા હતા. વોર્ડ નં. 7ના સભ્ય મહંમદભાઈ(ડીકે) પણ રજૂઆત કરવા પાલિકા પહોંચ્યા હતા. મહિલાઓએ પાણી માટે ઉગ્ર રજૂઆત કરી હતી. અને પાણી તથા સફાઇ કર્મચારીના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી.
7 વર્ષથી રજૂઆતો કરવા છતાંય સ્થિતિ જૈસે થેની
આ મુદે ફરીદાબેન તલાટે જણાવ્યું કે, પાછલા 7 વર્ષોથી અરજીઓ કરી અને રજૂઆત કરી થકી ગયા પણ પાણી હજી સુધી નથી આવ્યું. સફાઇ કર્મચારી પણ નથી મુકાતા ત્યારે અમારી સોસાયટી માં પાણી નો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાય નિયમિત પાણી આવે અને નિયમિત સફાઇ કર્મચારી મુકવામાં આવે તેવી માંગ કરી છે. અને જો આ પ્રશ્નનો કાયમી ઉકેલ નહીં આવે તો આંદોલન પણ કરીશું
પાલિકાના પાણી અને સફાઈ વિભાગને સૂચના આપી દીધી છે
પાલિકા પ્રમુખ પારૂલબેન આદેશરાએ જણાવ્યું કે મહિલાઓએ રજૂઆત કરી તે અનુસંધાને અમે પાણી વિભાગના કર્મચારીઓને અને સફાઇ કર્મચારી માટે સેનીટેશન વિભાગને તાત્કાલિક સૂચના આપી દીધી છે. અને પાણી મામલે હાલ તાત્કાલિક પાણીની લાઇન રાબેતા મુજબ ના થાય ત્યાં સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના આપી દીધી છે.