મહેસાણા મહાનગરપાલિકામાં જન્મ-મરણ અને લગ્ન નોંધણીમાં મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મનપા કચેરીમાં 4-5 વ્યક્તિઓની ટોળકી છેલ્લા કેટલાક સમયથી સક્રિય છે. આ લોકો પોતાને કચેરીના કર્મચારી તરીકે ઓળખાવે છે.
.
આશ્ચર્યની વાત એ છે કે આ વચેટિયાઓને કચેરીમાં ટેબલ અને બેસવાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી છે. જનસેવા કેન્દ્રની નજીક જ તેમની પ્રવૃત્તિ ચાલે છે. અધિકારીઓ રોજ ત્યાંથી પસાર થાય છે. છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી.
મનપાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કમલેશ સુતરિયાએ જણાવ્યું કે, મનપામાં જન્મના કે મરણના દાખલા કઢાવવા કે સુધારો કરાવવા મહેસાણા મનપાના કેટલાક ઠેકેદારો દ્વારા પૈસાનું ઉઘરાણું કરી, મનફાવે એ રીતે બહાર દલાલો દ્વારા ફોર્મ ભરાવી યેનકેન પ્રકારે અરજદારો પાસેથી ખોટી રકમ ઉઘરાવી, તેઓને તાત્કાલિક જન્મનો દાખલો સુધારો કરવી આપે છે. લોકોને મનપા પર જે આશા હતી એના પર પાણી ફરી વળ્યું છે. સમગ્ર મામલે વીડિયો પણ સામે આવ્યો છે, છતાં મનપાના પેટનું પાણી હલતું નથી, જેમનો વીડિયો છે એમના સામે કાર્યવાહી કરવામાં આવે.

તાજેતરનો કિસ્સો ધાનેરાના એક અરજદારનો છે. તેમની પાસેથી જન્મના દાખલા માટે 70 રૂપિયા વસૂલવામાં આવ્યા. અરજદાર પોતાના બાળકને RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે આવ્યા હતા. વચેટિયાઓએ 5 દિવસમાં દાખલો આપવાનું કહી પૈસા લીધા.
ઘટના બાદ મનપા તંત્રના જન્મ-મરણ શાખાના અધિકારી સ્થળ પર પહોંચ્યા. પરંતુ કટકીબાજો સામે કોઈ કાર્યવાહી ન કરતાં તેમને જવા દેવાયા. ત્યારબાદ માત્ર એક પોસ્ટર લગાવવામાં આવ્યું. જેમાં ફોર્મ ભરાવવા માટે કોઈને પૈસા ન આપવાની સૂચના આપવામાં આવી છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર એ.બી. મંડોરીએ જણાવ્યું કે ફરિયાદ મળશે તો તપાસ કરવામાં આવશે. દોષિત વ્યક્તિ, કર્મચારી કે અધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.