ભાવનગરમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં લોકોના આરોગ્ય સાથે ખીલવાડ થતો હોવાનો વિપક્ષ નેતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે.શહેરમાં ત્રાપજ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં લોકોને યોગ્ય સારવાર આપવામાં આવતી નથી. આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓના જીવન સાથે ચેડા થતો હોવાનો વિપક્ષ નેતાએ આક્ષેપ લગાવ્યો છે. વિપક્ષ નેતાના આરોપ બાદ ત્રાપજ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર વિવાદમાં જોવા મળ્યું.
ત્રાપજનું આરોગ્ય કેન્દ્ર વિવાદમાં
ત્રાપજ ખાતેના આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી ડેટવાળી વેક્સિન આપવામાં આવી હોવાનો વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે. વિપક્ષ નેતાનું કહેવું છે કે તેમણે જ્યારે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી ત્યારે ગંભીર બેદરકારી ધ્યાનમાં આવી. આરોગ્ય કેન્દ્રમાં હડકવાની વેકસિન એકસપાયર થઈ હોવા છતાં દર્દીઓને આપવામાં આવી રહી છે. આરોગ્ય કેન્દ્રમાં રહેલ હડકવાની રસીની ડિસેમ્બર મહિનામાં એક્સપાયરી ડેટ પુરી થઈ ગઈ છે. હડકવાની રસી હ્યુમન બાયોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ કંપનીની છે. વેકસિન પર બતાવવામાં આવેલ વિગત મુજબ જાન્યુઆરી 2022ની મેન્યુફેકચરિંગ તારીખ છે અને આ રસી ડિસેમ્બર 2024માં એકસપાયર થાય છે. છતાં પણ હાલમાં માર્ચ મહિના (2025)માં 6 વ્યક્તિઓને આ એકસાયર થયેલ વેકસિન આપવામાં આવી છે.
નોંધનીય છે કે દર્દીને કૂતરું કરડે ત્યારે ગંભીર અસરને દૂર કરવા હડકવાની વેકસિન અપાય છે. હડકવાની રસી કૂતરું કરડયા બાદ પ્રથમ દિવસે, બીજા દિવસે, સાતમા દિવસે અને 14 દિવસે દર્દીને આપવામાં આવતી હોય છે. હાલમાં ભાવનગરના ત્રાપજ આરોગ્ય કેન્દ્ર ખાતે 6 વ્યક્તિઓને હડકવાની એકસાયર થયેલ વેકસિન આપતા તેમના જીવ જોખમમાં મૂકયા હોવાનો વિપક્ષ નેતાએ સરકાર પર આક્ષેપ કર્યો
જિલ્લા આરોગ્ય અધિકારીને વિપક્ષ નેતાની ચીમકી
વિપક્ષ નેતા બળદેવભાઈ સોલંકીએ એકસપાયરી ડેટવાળી વેકસિનને લઈને જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી.તેમણે આરોગ્ય અધિકારીને જણાવ્યું કે ત્રાપજ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં લાલિયાવાડી ચાલી રહી છે. સરકારી આરોગ્ય કેન્દ્ર હોવા છતાં દવા તેમજ દર્દીઓ માટે વેકસિન જેવી જરૂરી મેડિકલ સામગ્રીને લઈને કોઈપણ જાતની તકેદારી રાખવામાં આવતી નથી. ત્રાપજ ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રમાં હડકવાની એકસપાયર થયેલ વેકસિન નવાગામ,ત્રાપજ,અલંગ,અને ગોરખી ગામના રહીશો ને આપવામાં આવી છે.
એકસાયપર વેકસિન આપવામાં આવેલ તમામ લોકોની હાલત અત્યારે વધુ ગંભીર છે. વિપક્ષ નેતાએ આરોગ્ય અધિકારીને કહ્યું કે જો 7 દિવસની અંદર જિલ્લા પંચયાત હસ્તક તમામ આરોગ્ય કેન્દ્ર પર દવાઓ અને જરૂરી સાધનોની પૂરતી ચકાસણી નહીં કરવામાં આવે તેમજ એકસપાયર થયેલ દવાઓ તેમજ વેકસિનને હટાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આ મામલો વધુ ઉગ્ર બની શકે છે.