Ahmedabad Sabarmati Riverfront News: અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલ સાબરમતી રિવરફ્રન્ટ આત્મહત્યા માટેનું સ્થળ બની ગયું હોય તેવો આંકડો સામે આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટનું બાંધકામ 1960ના દાયકામાં પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું પરંતુ 2008માં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી અને કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને બે તબક્કામાં વિકસાવવામાં આવ્યો હતો. આ પછી રિવરફ્રન્ટને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અહીંથી અત્યાર સુધી અનેક લોકોએ પોતાનો જીવ આપી દીધો છે.
પ્રવાસીઓ સાબરમતી રિવરફ્રન્ટ વોકવેની મુલાકાત લેવા આવે છે. છેલ્લા 11 વર્ષમાં આ રિવરફ્રન્ટ વોક-વે પરથી કુલ 1869 લોકોએ આત્મહત્યા કરી છે, જેમાં 247 મહિલાઓ, 1586 પુરૂષો અને 36 બાળકોનો સમાવેશ થાય છે. આ કેસમાં અત્યાર સુધીમાં 466 લોકોના જીવ બચાવાયા છે. રિવરફ્રન્ટ પરના વોક-વે પર ખાનગી એજન્સીઓના 97 સિક્યોરિટી ગાર્ડ ત્રણ પાળીમાં નોકરી કરે છે.
ક્રમ | વર્ષ | મરનાર મહિલા | મરનાર પુરૂષ | મરનાર બાળકો |
1 | 2014 | 22 | 203 | 7 |
2 | 2015 | 36 | 246 | 11 |
3 | 2016 | 46 | 233 | 3 |
4 | 2017 | 31 | 179 | 4 |
5 | 2018 | 16 | 102 | 2 |
6 | 2019 | 9 | 69 | 0 |
7 | 2020 | 9 | 112 | 1 |
8 | 2021 | 19 | 90 | 2 |
9 | 2022 | 29 | 124 | 2 |
10 | 2023 | 24 | 130 | 4 |
11 | 2024 (તા, 10-10-2024 સુધી) | 6 | 98 | 0 |
11 વર્ષ | 247 | 1586 | 36 |
સુરક્ષા ગાર્ડ ક્યાં તૈનાત છે તે જાણો
ત્રણ-ત્રણ પાળીમાં રિવરફ્રન્ટ વોક-વેની પૂર્વ બાજુએ 44 ગાર્ડ અને 53 ગાર્ડ પશ્ચિમ બાજુએ તૈનાત છે, જેમાંથી ઘણા ગાર્ડ ગેરહાજર રહે છે. આમ છતાં નદીમાં કૂદીને આપઘાતની ઘટનાઓ સતત વધી રહી છે. આ ઉપરાંત આત્મહત્યા કરી રહેલા લોકોને બચાવવા નદી કિનારે બે બોટ પણ તૈનાત કરવામાં આવી છે જે તૂટેલી હાલતમાં છે.
આ પણ વાંચો: બબાલ સ્થળેથી ભાગી જનાર પોલીસ સામે સવાલ, બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
એક પણ સીસીટીવી કેમેરો નથી
સાબરમતી રિવરફ્રન્ટની બંને તરફ 37 કિમીના વોક-વે પર એક પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે તો લોકો ફાયર બ્રિગેડને બોલાવે છે. જે નદી કિનારેથી 1.5 કિલોમીટરના અંતરે સ્થિત છે. જમાલપુર અને શાહપુર ફાયર સ્ટેશનમાંથી ફાયર વિભાગના કર્મચારીઓ આવે છે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તેઓ લોકોનો જીવ બચાવવામાં અસમર્થ હોય છે.