Supreme Court: સુપ્રીમ કોર્ટે સોમવારે શરણાર્થીઓને લઈ મહત્ત્વપૂર્ણ ટીપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું કે, ભારત કોઈ ધરમશાળા નથી, દુનિયાભરમાંથી આવેલા શરણાર્થીઓને ભારતમાં શરમ કેમ આપીએ? અમે 140 કરોડ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે દરેક જગ્યાએથી આવેલા શરણાર્થીઓને શરણ ના આપી શકીએ. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ દીપાંકર દત્તાએ શ્રીલંકાથી આવેલ તમિલ શરણાર્થીને કસ્ટડીમાં લેવાના મામલે હસ્તક્ષેપ કરવાથી ઈન્કાર કરતા આ વાત કહી.
શ્રીલંકાના નાગરિકની અટકાયત સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે અરજીમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચ મદ્રાસ હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે અરજદારે UAPA કેસમાં લાદવામાં આવેલી 7 વર્ષની સજા પૂર્ણ કર્યા પછી તરત જ ભારત છોડી દેવું જોઈએ.
શ્રીલંકાના અરજદારના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે શ્રીલંકન તમિલ છે જે વિઝા પર અહીં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે તેના દેશમાં તેના જીવને જોખમ છે. અરજદાર લગભગ ત્રણ વર્ષથી કોઈપણ દેશનિકાલ પ્રક્રિયા વિના નજરકેદ છે.
આ પણ વાંચો: સુરતમાં યુવતીને કેફી પીણું પીવડાવી ગેંગરેપ આચરનારા BJP નેતાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યો
ન્યાયાધીશ દત્તાએ પૂછ્યું કે અહીં સ્થાયી થવાનો તમારો અધિકાર શું છે? વકીલે ફરીથી કહ્યું કે અરજદાર શરણાર્થી છે. ન્યાયાધીશ દત્તાએ કહ્યું કે કલમ-19 મુજબ, ફક્ત નાગરિકોને જ ભારતમાં સ્થાયી થવાનો મૂળભૂત અધિકાર છે. જ્યારે વકીલે કહ્યું કે અરજદારને તેના દેશમાં જીવનું જોખમ છે, ત્યારે ન્યાયાધીશ દત્તાએ કહ્યું કે કોઈ બીજા દેશમાં જાઓ.
તમને જણાવી દઈએ કે, વર્ષ 2015 માં અરજદારને LTTE ના કાર્યકર્તાઓ હોવાની શંકાના આધારે બે અન્ય લોકો સાથે ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2018 માં અરજદારને UAPA ની કલમ-10 હેઠળના ગુના માટે ટ્રાયલ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો અને તેને દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
મદ્રાસ હાઈકોર્ટે વર્ષ 2022 માં તેની સજા ઘટાડીને એક વર્ષની કરી હતી પરંતુ નિર્દેશ આપ્યો હતો કે તેણે સજા પછી તરત જ ભારત છોડી દેવું જોઈએ અને ભારત છોડે ત્યાં સુધી શરણાર્થી શિબિરમાં રહેવું જોઈએ.