India Pakistan News: ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે વિદેશ મામલાની સ્થાયી સંસદીય સમિતિને વિસ્તૃત જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ પારંપરિક ક્ષેત્ર સુધી જ મર્યાદિત રહ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન તરફથી કોઈપણ પ્રકારના પરમાણુ હુમલાના સંકેત આપ્યા ન હતા.
10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. નવ દિવસ બાદ સંસદીય સ્થાયી સમિતિને માહિતી આપતાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે લશ્કરી કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય દ્વિપક્ષીય રીતે લેવામાં આવ્યો હતો અને તેમાં અમેરિકાનો કોઈ હસ્તક્ષેપ ન હતો.
અમેરિકાએ યુદ્ધવિરામનો શ્રેય લીધો હતો
નોંધનીય છે કે આ પહેલા અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થતાનો શ્રેય લીધો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે બંને દેશો અમેરિકાની મઘ્યસ્થતામાં એક લાંબી વાતચીત પછી પૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ટ્રમ્પે સૌથી પહેલા બંને દેશો વચ્ચે સીઝફાયરની જાહેરાત કરી હતી, જેના કારણે દેશમાં સરકાર પર સવાલો ઉભા થયા હતા.
સમિતિના સભ્યોએ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે પ્રશ્નો પૂછ્યા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીઝફાયરની જાહેરાત પર કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ વારંવાર સવાલ ઉઠાવ્યા છે. સોમવારે પણ વિપક્ષી સભ્યોએ વિદેશ સચિવ વિક્રમ મિસરીને ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામની જાહેરાત સહિત અનેક સવાલો કર્યા હતા. સોમવારે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની અધ્યક્ષતામાં થયેલી આ બેઠક બે કલાક સુધી ચાલી હતી.
આ પણ વાંચો – પાકિસ્તાન સુવર્ણ મંદિરને નિશાન બનાવવા માંગતું હતું, ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા
ઓપરેશન સિંદૂર વિશે પાકિસ્તાનને અગાઉથી જાણ કરવામાં આવી ન હતી
વિક્રમ મિસરીએ સમિતિને જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર શરૂ થયા પહેલા ભારતે પાકિસ્તાનને આ અંગે જાણ કરી ન હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓએ વિદેશ મંત્રી એસ જયશંકર પર સતત પ્રહાર કર્યો છે. તેમની ટિપ્પણી હતી કે પાકિસ્તાનને તેની ધરતી પર આતંકી માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાની જાણકારી આપી હતી. રાહુલના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયે તેને તથ્યોની ખોટી રજૂઆત ગણાવી હતી.
પહેલગામના આતંકીઓને પકડવા ભારત શું કરી રહ્યું છે?
વિપક્ષના એક સભ્યએ 22 એપ્રિલના પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના ઠેકાણાઓ વિશે પૂછ્યું હતું, જેમાં 26 લોકો માર્યા ગયા હતા, અને તેમને પકડવા માટે ભારત શું કરી રહ્યું છે. અન્ય એક સભ્યએ મિસરીને પૂછ્યું કે ભારત સરકાર પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર એકલું પાડવા માટે શું પગલાં લઈ રહી છે અને ભારત પાકિસ્તાનને ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની ગ્રે લિસ્ટમાં પાછું મૂકવા માટે અમેરિકા પર દબાણ લાવવાનો ઇરાદો કેવી રીતે ધરાવે છે.
ભારત અને પાકિસ્તાનને એક સાથે ન જોવામાં આવે
વિપક્ષના એક સભ્યએ પૂછ્યું હતું કે ભારત ફૂટનીતિ રીતે અલગ- થલગ કેમ જોવા મળી રહ્યું છે અને દેશ શું સંદેશ આપવા માંગે છે જેથી આતંકવાદના ગુનેગાર પાકિસ્તાનને આતંકવાદનો ભોગ બનેલા ભારતની સમકક્ષ ગણવામાં ન આવે. કેટલાક વિપક્ષી સભ્યોએ એમ પણ પૂછ્યું હતું કે શું પાકિસ્તાને આ અથડામણમાં ચીની પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો.
આ સવાલો પર વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જવાબ આપ્યો કે તેનાથી કોઈ ફરક નથી પડતો કારણ કે ભારતે પાકિસ્તાનના હવાઈ અડ્ડાઓ પર હુમલો કર્યો હતો. આ બેઠકમાં કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લા અને દીપેન્દ્ર હુડ્ડા, ટીએમસીના અભિષેક બેનર્જી અને સાગરિકા ઘોષ, એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી, ભાજપના અપરાજિતા સારંગી અને અરુણ ગોવિલ સામેલ હતા.