Last Updated:
ગીરની કેસર કેરી પ્રખ્યાત છે. પરંતુ રોગ, જીવાતના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે. હાલ કેરી કયા તબક્કામાં છે અને ખેડૂતોને શું ધ્યાન રાખવું જોઈએ? અને કેરીના ખરણ માટે કોણ જવાબદાર? આવો જાણીએ.
જૂનાગઢ: ગીરની શાન સમાન કેસર કેરીની સીઝન પૂરબહારમાં ચાલી રહી છે. ત્યારે ખેડૂતો માટે કેરીની માવજત કરવી અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. હાલ કેસર કેરી કયા તબક્કામાં છે અને ખેડૂતોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના ડીન ડૉ. ડી.કે. વરુએ લોકલ 18 સાથે ખાસ વાતચીત કરી હતી.
કેસર કેરીના પાકમાં હાલ બે થી ત્રણ તબક્કા ચાલી રહ્યા છે. વટાણા જેવડી કેરી, માર્બલ સાઈઝ અને તેનાથી મોટી કેરી – આ બધા તબક્કાઓ જોવા મળે છે. સાથે જ મધિયો રોગનો પણ પ્રકોપ છે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફૂલ આવવાનો સમય અલગ અલગ હોવાથી આવું બન્યું છે. હાલ મોટાભાગના પાકમાં મધિયો અને તેનાથી મોટા તબક્કા ચાલી રહ્યા છે, અને આ બંને તબક્કા ખૂબ જ ચિંતાજનક છે. ફૂલ આવ્યા ત્યારે વાતાવરણ ખૂબ સારું હતું, પરંતુ પછી વાતાવરણ અને તાપમાનમાં આવેલા ફેરફારોએ પરિસ્થિતિ બગાડી છે. મધિયાનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે અને ઘણા ખેતરોમાં નુકસાન થયું છે. મુખ્યત્વે મધિયો અને તાપમાનમાં થતા ફેરફારો ખરણ માટે જવાબદાર છે.
કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને પાક સંબંધિત પ્રશ્નો અને જરૂરિયાત મુજબ સલાહ અને દવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. હાલમાં, ખેડૂતોએ પાણી અને ખાતર આપવાની શરૂઆત કરી દેવી જોઈએ. પાણી આપતી વખતે ખાસ ધ્યાન રાખવું કે પાણીનું પ્રમાણ વધી ન જાય, કારણ કે વધુ પડતા પાણીથી પાકને નુકસાન થઈ શકે છે. જે ખેડૂતોએ પિયત કરી લીધું છે, તેમણે સાંજે 700 ગ્રામ યુરિયા અને 150 થી 200 ગ્રામ પોટાશ ખાતર આપવું જોઈએ. સાંજે આંબાને પાણી આપ્યા બાદ થડની આજુબાજુના વિસ્તારમાં આ ખાતર આપવું જોઈએ.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં અંગ દઝાળતી ગરમી, બપોરના સમયે રસ્તા બન્યા સૂમસામ
આંબાના પાકમાં એક નવો રોગ જોવા મળી રહ્યો છે જે સરળતાથી ઓળખી શકાતો નથી. આ રોગ મધ્યમ પ્રકારનો છે અને આંબાના તમામ રોગોમાં જોવા મળે છે. આ રોગથી બચવા માટે શું કરવું અને તેને કેવી રીતે ઓળખવો તેની સંપૂર્ણ માહિતી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા આપવામાં આવી છે. પુખ્ત ફાયર આછા રાખોડી રંગના હોય છે અને તેમના શરીરનો આકાર અગ્નિની જ્વાળા જેવો હોય છે. તેમના માથા પર ઘેરા રંગના 3 ટપકા અને વચ્ચે એક પટ્ટો હોય છે જે સમય જતાં લીલા રંગનો અને પછી ભૂરા રંગનો બની જાય છે. આ જંતુઓ ખૂબ જ ઝડપથી દોડી શકે છે.
સંકલિત જીવાત વ્યવસ્થાપન કઈ રીતે કરવું?
ઝાડ પર નવી કુંપણ અને મોર આવવાની શરૂઆત થાય ત્યારે કાર્બારિલ 50% વે.પા. 40 ગ્રામ, કવીનાલફોસ 25% ઈ.સી. 20 મિલી, ઇમિડાકલોપ્રિડ 17.5% એસએલ 2.8 મિલીમાંથી કોઈ પણ એક દવા 10 લીટર પાણીમાં ભેળવી દ્રાવણ બનાવી છંટકાવ કરવો જોઈએ. જો ઉપદ્રવ વધારે હોય તો, સાયપરમેથ્રીન 10% ઈ.સી, 4 મિલી પ્રતિ લીટર પાણીમાં અને ડેલ્ટામેથ્રીન 2.8% ઈ.સી. 3 મી.લી. પ્રતિ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ. જૈવિક નિયંત્રણ માટે, જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે બિવેરીયા બાસીયાના અથવા લેકનિસિલિયમ લેકાની જૈવિક દવા હેક્ટર દીઠ 2 કિલોગ્રામ પ્રમાણે છંટકાવ કરવો. બીજો છંટકાવ જરૂરિયાત મુજબ કરવો જોઈએ.
Junagadh,Gujarat
March 20, 2025 4:02 PM IST