Looteri Dulhan Arrested: ‘લુટેરી દુલ્હન’ તરીકે જાણીતી અનુરાધા પાસવાનને 25 માસુમ વરરાજાઓને છેતરીને લાખોના ઘરેણાં અને રોકડ રકમ લઈને ભાગી જવા બદલ ધરપકડ કરવામાં આવી છે. NDTV ના અહેવાલ મુજબ, અનુરાધા છોકરાઓને નકલી લગ્ન માટે ફસાવવા માટે નવું નામ, નવું શહેર અને નવી ઓળખ પસંદ કરતી હતી.
ઘરેણાં અને રોકડ રકમ લઈને ભાગી જતી
રિપોર્ટ મુજબ, તે એક પરફેક્ટ દુલ્હન અને આદર્શ પુત્રવધૂનો ખેલ રમતી હતી અને પછી ઘરેણાં અને રોકડ રકમ લઈને ભાગી જતી હતી. જોકે તેને ફસાવવા માટે સવાઈ માધોપુર પોલીસે અલગ ટ્રીક કરી અને તેને નકલી લગ્ન માટે ફસાવી અને બાદમાં તેની ધરપકડ કરી.
તે તેના ટાર્ગેટને કહાની સંભળાવતી હતી કે તે એકલી, ગરીબ અને લાચાર છે. તેનો એક બેરોજગાર ભાઈ પણ છે. તે લગ્ન કરવા માંગે છે, પરંતુ નાણાકીય મુશ્કેલીઓ તેને પોતાનું જીવન નવેસરથી શરૂ કરતા અટકાવે છે. જોકે, આ બધું ફક્ત છોકરાઓને ફસાવવાની તેની યુક્તિ છે.
આ પણ વાંચો: ચંડોળા તળાવ ડિમોલિશન પાર્ટ 2
તે એક નકલી લગ્ન રેકેટની માસ્ટર છે, જે લોકોનો વિશ્વાસ જીતીને તેમના પૈસા છીનવી લેવા માટે જાણીતી છે. અનુરાધાની ગેંગના સભ્યો તેના ફોટોગ્રાફ્સ અને પ્રોફાઇલ્સ સંભવિત વરરાજાને મોકલે છે જેથી તેમના માટે યોગ્ય જોડી શોધી શકાય.
વચેટીયો બે લાખ રૂપિયા લેતો હતો
રિપોર્ટ અનુસાર, મેચમેકર જે મૂળ રૂપે આ ગેંગનો સભ્ય છે, તે મેચ સેટ કરવા માટે 2 લાખ રૂપિયા લેતો હતો. એક વખત સોદો નક્કી થયા બાદ મેરેજ કંસેંટ લેટર તૈયાર કરવામાં આવતો હતો. જોડી રીતિ-રિવાજો અનુસાર મંદિર અથવા ઘરમાં લગ્ન કરે છે. અને પછી શરુ થાય છે લૂંટેરી દુલ્હનનું નાટક.
અનુરાધા વરરાજા અને તેના સાસરિયાઓ સાથે ખૂબ જ મીઠી અને ભોળી બની જાય છે. તેમનો વિશ્વાસ જીતવા માટે તે પરિવારના દરેક સભ્ય સાથે સારા સંબંધ રાખે છે. જોકે, થોડા દિવસોમાં તે તેની યોજનાનું છેલ્લું કામ કરે છે – ખોરાકમાં નશીલો પદાર્થ ભેળવીને ઘરેણાં, રોકડ અને અન્ય કિંમતી વસ્તુઓ લઈને ભાગી જાય છે.
વરરાજાએ લગ્ન માટે લોન લીધી હતી
20 એપ્રિલના રોજ સવાઈ માધોપુરના રહેવાસી વિષ્ણુ શર્માએ મધ્યપ્રદેશની અનુરાધા સાથે લગ્ન કર્યા. હિન્દુ વિધિ મુજબ મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન થયા હતા. લગ્ન દલાલ પપ્પુ મીના દ્વારા ગોઠવવામાં આવ્યા હતા, જેના માટે વિષ્ણુએ તેને 2 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
લગ્નના બે અઠવાડિયામાં અનુરાધા 1.25 લાખ રૂપિયાના ઘરેણાં, 30,000 રૂપિયાની રોકડ અને 30,000 રૂપિયાનો મોબાઇલ ફોન લઈને ભાગી ગઈ હતી. વિષ્ણુએ કહ્યું, “હું રેકડી પર ધંધો કરૂ છું અને લોન લઈને લગ્ન કર્યા. મેં એક મોબાઇલ ફોન પણ ઉધાર લીધો હતો, તેણીએ તે પણ લીધો હતો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તે મને છેતરશે.” વિષ્ણુએ તે રાત યાદ કરીને કહ્યું કે હું મોડી રાત્રે કામ પરથી પાછો ફર્યો અને રાત્રિભોજન પછી તરત જ સૂઈ ગયો. તેણે કહ્યું, “મને સામાન્ય રીતે વધારે ઊંઘ આવતી નથી, પરંતુ તે રાત્રે હું ગાઢ ઊંઘમાં સૂઈ ગયો, જાણે કોઈએ મને ઊંઘની ગોળી આપી હોય.” આ ઘટના બાદ વિષ્ણુની માતા પણ આઘાતમાં છે.
આ પણ વાંચો: કેવા પ્રકારની પાણીની બોટલ સ્વાસ્થ્ય માટે સારી, ડોક્ટરે વીડિયો કરી આપી મહત્ત્વની જાણકારી
પીડિતના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં કાર્યવાહી કરતી વખતે પોલીસે વિપરીત યુક્તિ રમવાનું વિચાર્યું. વિષ્ણુ દ્વારા શેર કરવામાં આવેલી માહિતીના આધારે સવાઈ માધોપુર પોલીસે અનુરાધા માટે છટકું ગોઠવ્યું. એક કોન્સ્ટેબલને સંભવિત વરરાજા તરીકે રજૂ કરવામાં આવ્યો.
તેણે એજન્ટનો સંપર્ક કર્યો જેણે ઘણી મહિલાઓના ફોટા બતાવ્યા. પોલીસ અધિકારીએ કહ્યું, “તપાસ પછી બધા દસ્તાવેજો અને લગ્ન કરાર નકલી હોવાનું જાણવા મળ્યું. અમે અમારી ટીમમાંથી એક કોન્સ્ટેબલને વરરાજા તરીકે તૈયાર કર્યો અને મહિલાને લગ્ન માટે લલચાવી.” અનુરાધા આ જાળમાં ફસાઈ ગઈ, ત્યારબાદ તેની ભોપાલમાં ધરપકડ કરવામાં આવી.