Rajkot Fire: ગુજરાતના રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. જ્યારે આ આગની દૂર્ઘટનામાં ત્રણ ડિલિવરી બોયના મોત નિપજ્યા હતા. સમગ્ર ઘટના મામલે પોલીસે જણાવ્યું હતું કે, ‘શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે FSLનો રિપોર્ટ આવ્યા બાદ સચોટ કારણ સામે આવશે.’
ત્રણ વ્યક્તિના મોત
રાજકોટના 150 ફૂટ રોડ પરના એટલાન્ટિસ બિલ્ડિંગના D બ્લોકના છઠ્ઠા માળે 603 નંબરના ફ્લેટમાં આગ લાગી હતી. આગની ઘટનાને લઈને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ઉપરના માળે ફસાયેલા લોકોને હાઇડ્રોલિક લિફ્ટ મારફતે નીચે ઉતારવાની કામગીરી કરી હતી. આ ઘટનામાં અજય મકવાણા તથા કલ્પેશ લેઉવા અને મયુર લેઉવા નામના બે પિતરાઈ ભાઈના મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટનામાં ત્રણ ડિલિવરી બોયના મોત નીપજ્યા હતા.
આ પણ વાંચોઃ તહેવાર ટાણે અકસ્માતોની વણઝાર… ગાંધીનગરના દહેગામમાં કારચાલકે 3 વાહનોને ઉડાડ્યાં, 2ના મોત
બિલ્ડિંગના છઠ્ઠા માળે ફ્લેટમાં ફર્નિચર કામ ચાલુ હતું. જ્યારે સમગ્ર ઘટનામાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે FSLનો રિપોર્ટ આવ્યા બાદ સચોટ કારણ સામે આવશે.
એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાનો મામલે પોલીસનું નિવેદન
સમગ્ર ઘટના મામલે રાજકોટ DCP ઝોન-2ના જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ‘આગની આ ઘટનામાં 5 લોકોને ઈજા થઈ હતી. એક વ્યક્તિને નોર્મલ ઈજા હોવાનું જાણવા મળતા તેને સારવાર આપી જવા દેવામાં આવ્યા છે. અન્ય 4 વ્યક્તિમાંથી એક જે ફ્લેટમાં કામ કરતા હતા તેને સારવાર અર્થે બર્ન્સ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય ત્રણ વ્યક્તિઓના દુઃખદ મોત નિપજ્યા છે.’
આ પણ વાંચો: પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને નડ્યો અકસ્માત, 3ના ઘટનાસ્થળે મોત, 5ને ઈજા
પોલીસે જણાવ્યું કે, ‘મૃતક અજય મકવાણા સ્વિગીમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે, તે ત્યાં ડિલિવરી કરવા ગયો હતો. જ્યારે અન્ય બે યુવકોમાં કલ્પેશ અને મયુર બ્લિંકિટ એપ્લિકેશનમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આ બંને વ્યક્તિઓ કેમ બિલ્ડિંગમાં આવ્યા હતા તેને લઈને તપાસ કરવામાં આવશે. સમગ્ર ઘટનાને લઈ માલવિયાનગર પોલીસ મથકમાં એક્સીડેન્ટલ ડેથનો ગુનો નોંધવામાં આવ્યો છે. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી હતી કે કેમ? બિલ્ડિંગમાં બાંધકામ સમયે સેફ્ટી નોમ્સ અને NOCનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ તે અંગે વધુ તપાસ કરાશે. કોઈ પણ જવાબદારને છોડવામાં નહીં આવે.’