Union Cabinet Meeting : નવા વર્ષ 2025ની પહેલી મોદી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. તેમાં સરકારે ડીએપી ખાતર બનાવતી કંપનીઓ માટે ખાસ પેકેજ મંજૂર કર્યું હતું. આ સાથે ખેડૂતોને ડીએપી માટે વધુ પૈસા ચૂકવવા નહીં પડે અને તેઓ ખાતર પર વધુ સબસિડી મેળવી શકશે. ડીએપી ઉત્પાદક કંપનીઓને અપાતી સબસિડી ઉપરાંત સરકાર આર્થિક મદદ પણ કરશે.
મોદી કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારે DAP ખાતરના ઉત્પાદકોને રાહત આપી છે. આ અંતર્ગત તેમને સબસિડી ઉપરાંત આર્થિક સહાય આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયોનો ઉદ્દેશ કૃષિ ઉત્પાદકતા વધારવાનો, ખેડૂતોને આર્થિક રીતે ટેકો આપવાનો અને આવશ્યક ખાતરોની વાજબી સુલભતા પ્રદાન કરવાનો છે.
મોદી કેબિનેટનો વધુ એક નિર્ણય
મોદી કેબિનેટના અન્ય એક નિર્ણયને પણ મંજૂરી મળી ગઈ છે, જે અંતર્ગત ખેડૂતો માટે વીમા યોજનાને વધુ આકર્ષક બનાવવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. પાક વીમા યોજનાના નિયમો અને કાયદાઓમાં સુધારો કરીને તેને વધુ સરળ બનાવવામાં આવશે. આ સાથે સસ્તા દરે અને સરળ નિયમો હેઠળ પાકનો વીમો ઉતરાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક
વર્ષ 2025ની પહેલી કેન્દ્રીય કેબિનેટ બેઠક પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ડીએપી પર સબસિડી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પેકેજ એક વર્ષ માટે એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધી લાગુ રહેશે. સરકારે ડીએપી ખાતર ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે આ પેકેજને મંજૂરી આપી હતી અને કાચા માલના વધતા ખર્ચની ભરપાઇ માટે આ નિર્ણયનો અમલ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો – શું BJP માટે વોટ માંગશે મોહન ભાગવત? અરવિંદ કેજરીવાલે RSS ચીફને લખી ચિઠ્ઠી
ડીએપી એટલે શું?
ડીએપી (DAP) નો અર્થ થાય છે ડાઇ-એમોનિયમ ફોસ્ફેટ, તે એક ખાતર છે, જે પાક અને છોડ માટે ફોસ્ફરસ અને નાઇટ્રોજનનો મુખ્ય સ્ત્રોત છે. ડીએપી (DAP) એ પાણીમાં દ્રાવ્ય એવું ખાતર છે, જે એમોનિયા અને ફોસ્ફોરિક એસિડની પ્રક્રિયાથી રચાય છે. તે ખેતી અને અન્ય ઉદ્યોગો માટે લોકપ્રિય પસંદગી છે કારણ કે તે ઝડપથી દ્રાવ્ય છે અને તેમાં ઉચ્ચ પોષક તત્વો છે.