– સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ન યોજાઈ ત્યાં સુધી વહીવટદારનું શાસન રહેશે
– નગરપાલિકા સુપરસીડ ન થાય તે માટે યોગ્ય ખુલાસો તો ન કર્યો પણ સરકાર પાસે વધુ મહેતલ માંગવાની પણ તસ્દી ન લીધી
મહુવા : મહુવામાં ભાજપનો આંતરિક કલેશ અંતે સત્તાને લઈ ડૂબ્યો છે. વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ મંજૂર કરાવવામાં નિષ્ફળ રહેલી નગરપાલિકાનું આખરે રાજ્ય સરકારે વિસર્જન કરી નાંખ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણને અંદાજે ૧૦ માસ જેટલો સમય બાકી છે ત્યારે જયાં સુધી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી વહીવટદારનું શાસન રહેશે.
ફેબૂ્ર.-૨૦૨૧માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં બહુમતીથી સત્તારૂઢ થયા બાદ મહુવા પાલિકામાં શાસક ભાજપના જ સભ્યો ઉંદર-બિલાડીની જેમ બાખડતા રહ્યા છે. મહિલા પ્રમુખ સામે સભ્યોનો પ્રચંડ વિરોધ એટલી હદે પહોંચ્યો હતો કે, માર્ચ માસમાં મળેલી બજેટ બેઠકમાં ભાજપના સભ્યોએ વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રને મંજૂર થવા દીધું ન હતું. ત્યારબાદ પણ સામાન્ય સભા ન બોલાવવામાં આવતા નગરપાલિકા સુપરસીડ થવાની પૂરી શક્યતા દર્શાવાઈ હતી. જો કે, તે પહેલા રાજ્ય સરકારે મહુવા નગરપાલિકાનું વિસર્જન શા માટે ન કરવું ? તે અંગે પ્રમુખ,ઉપપ્રમુખ અને તમામ સભ્યોને રજૂઆતની તક આપી તા.૨૨ એપ્રિલ સુધીમાં જનરલ બોર્ડના ઠરાવ સ્વરૂપે ખુલાસો રજૂ કરવા તક આપી હતી. પરંતુ ભાજપના સભ્યોને સત્તા સંભાળી રાખવામાં કોઈ જ રસ ન હોય તેમ ખુલાસો રજૂ કરવાની વાત તો દૂર રહી વધુ સમયની માંગણી કરવાની પણ તસ્દી લીધી ન હતી. માત્ર ૧૦ સભ્યોએ લેખિતમાં ખુલાસો કર્યો તેમાં અલગ-અલગ કારણો અને બીજા ઉપર દોષારોપણ કરી પોતાની જવાબદારી ન હોવાનું કારણ રજૂ કર્યું હતું.
અંતે રાજ્યના શહેરી વિકાસ ગૃહ નિર્માણ વિભાગે રાજ્યપાલના હુકમથી નગરપાલિકાને સોંપાયેલી ફરજો નિભાવવામાં નિષ્ફળ જતાં તેમજ ચૂંટાયેલી પાંખ સામાન્ય સંજોગોમાં પોતાની પ્રાથમિક ફરજો બજાવવામાં અસમર્થ રહેતા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૨૬૩ (૧)થી મળેલી સત્તાનું રૂએ મહુવા પાલિકાનું તાત્કાલિક અસરથી વિસર્જન કર્યું હતું. સરકારે આ મામલે કારોબારી સમિતિ અને સામાન્ય સભા સતત સંઘર્ષ અને વિવાદ ઉપસ્થિત કરી વહીવટ અને વિકાસ કાર્યો કરવામાં, કાયદાથી સુપ્રત જવાબદારીઓનું વહન કરવામાં નિષ્ફળ જઈ ફરજો બજાવવામાં કસુરવાન ઠર્યાનું પણ નોંધ્યું હતું.
ગ્રાન્ટના કરોડો રૂપિયા હોવા છતાં પણ વિકાસ કામો થવા ન દીધા
સત્તાધારી ભાજપના સભ્યોએ તેમના આંતરિક મનભેદ-મતભેદના હઠાગ્રહમાં મહુવાની પ્રજા સાથે પણ દ્રોહ કર્યો છે. નગરપાલિકાને મોટા પ્રમાણમાં નાણાંકીય ભંડોળ ઉપલબ્ધ હોવા છતાં પણ ટાંટિયાખેંચમાં અપીલો કરી વહીવટને ખોરંભે ચડાવી રોજીંદા વિકાસ કાર્યો અને લોકોની સુખાકારીના કામો થવા દીધા ન હતા. અગાઉ આઈએચએસડીપી પ્રોજેક્ટના ૩૭૨ આવાસોની પ્રગતિ/સોંપણી અને બિલની ચૂકવણી અંગે સરકારમાંથી ૩.૫૦ કરોડની લોન લીધી છતાં બાકી રહેલા બાંધકામની કામગીરી શરૂ પણ કરાવી ન હતી. સામાન્ય સભાએ પરિણામલક્ષી અમલવારી કરવાની થતી હોય, તેમાં પણ નગરપાલિકા નિષ્ફળ ગઈ છે. પોતાની ફરજોમાં નિષ્ફળ જઈ પ્રજાલક્ષી કાર્યો ન કરી શહેરના વિકાસને અવરોધવામાં આવ્યો હતો.