– ભારે વરસાદ અને યુદ્ધની તણાવભરી સ્થિતિને લઈ
– વડાની પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર ન છોડાવા આદેશ, રજા પર ગયેલા કર્મચારીઓને ફરજ પર હાજર થવા તાકિદ કરાઈઃ જિલ્લા પ્રભારી સચિવે સર્વગ્રાહી સમીક્ષા કરી
ભાવનગર : ભાવનગર જિલ્લામાં એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તણાવભરી સ્થિતિ સર્જાતાં,આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા સરકારી અધિકારી-કર્મચારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે.
ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ સુપ્રિતસિંઘ ગુલાટીએ ભારે વરસાદ અને નાગરિક સંરક્ષણની સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરી હતી. જેમાં આઈઓસીમાં યોજાયેલી મોકડ્રીલ, બ્લેક આઉટ સહિત લોકોની સુરક્ષા માટે કરાયેલી તૈયારીઓની જાણકારી મેળવી જિલ્લાની તમામ હોસ્પિટલો, ૧૦૮ એમ્બ્યુલન્સ, સિવિલ ડિફેન્સના કર્મચારીઓ, ફાયર, મહેસૂલ, ડિઝાસ્ટર અને આપદામિત્રોને તૈનાત રાખવા, નિયત કરાયેલા સ્થળોએ સાયરનની સુવિધા કાર્યરત રાખવા માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં એરપોર્ટ, અલંગ શિપ યાર્ડ, ઘોઘા રો-રો ફેરી બંદર, રેલવે સ્ટેશન, બંદરો, પીજીવીસીએલ સબ સ્ટેશનને કેટેગરી પ્રમાણે મહત્ત્વના સ્થળો પર તૈયારીઓ કરવામાં આવી હોવાની જિલ્લા કલેક્ટર ડો.મનીષ કુમાર બંસલે માહિતી આપી નાગરિક સંરક્ષના સ્વયંસેવકો, પીજીવીસીએલ, પોલીસ, કલેક્ટર કચેરીના મહેસૂલ વિભાગ સહિતની તમામ સરકારી શાખા, બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન, સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ, કર્મચારીઓને નવો આદેશ ન છૂટે ત્યાં સુધી મંજૂર થયેલી તમામ પ્રકારની રજાઓ (મેડિકલ રજા સિવાય) રદ્દ કરી દેવામાં આવી છે. તેમજ જે કર્મચારી-અધિકારી રજા પર ગયા છે તેમને તાત્કાલિક ફરજ પર હાજર રહેવા અને વિભાગ,ખાતાના વડાની પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર ન છોડવા અને તમામને સ્ટેન્ડબાય પર રહેવા આદેશ કર્યા હોવાનું જણાવ્યું હતું. વધુમાં વરસાદની આંકડાકીય વિગતો અને ભૂતકાળમાં ભાવનગરમાં આવેલા પૂર અંગે સચિવને માહિતગાર કરાયા હતા. બેઠકમાં મ્યુનિ. કમિશનર, ડીડીઓ, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર, નિવાસી અધિક કલેક્ટર, ડિવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિ.પં.,તા.પં.ના કર્મીઓની શનિ-રવિની રજા કેન્સલ કરાઈ
ભારે વરસાદ અને અન્ય આકસ્મિક કામગીરીને લઈ ભાવનગર જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત અને અન્ય તમામ સરકારી સહિતના વિભાગોમાં આવતીકાલની બીજા શનિવાર અને રવિવારની જાહેર રજાને કેન્સલ કરી દેવામાં આવી છે. ડીડીઓએ તેમની નિયંત્રણ હેઠળની દરેક શાખા/તાલુકા પંચાયત કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓને તા.૧૦-૫ અને તા.૧૧-૫ના રોજ નિયત સમય મુજબ કચેરીઓની કામગીરી શરૂ રાખવા અને સોંપવામાં આવેલી કોઈપણ આકસ્મિક કામગીરી પૂર્ણ કરવા આદેશ કર્યો છે.