મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાત અને ખાસ કરીને સરહદી જિલ્લાઓના નાગરિકોની જાનમાલ સુરક્ષા તથા માલમિલકતની સલામતી સહિત જનજીવન રાબેતા મુજબ રહે તે માટે જિલ્લાતંત્રના આયોજનોની વિસ્તૃત સમીક્ષા ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ પંકજ જોષીની ઉપસ્થિતિમાં કરી હતી.
CM પટેલે બનાસકાંઠા, કચ્છ, પાટણ, જામનગર જેવા સરહદી જિલ્લાઓના વહીવટી વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લાની સ્થિતિનો જાયજો મેળવ્યો હતો. પ્રવર્તમાન સ્થિતિમાં સરહદી જિલ્લાઓમાં કોમ્યુનિકેશન નેટવર્ક જળવાઈ રહે અને લોકોને સમયે-સમયે સૂચનાઓ યોગ્ય રીતે પહોંચી શકે તે માટે સેટેલાઇટ ફોન, વાયરલેસ સિસ્ટમ, વોકીટોકીની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ ભૂપેન્દ્ર પટેલે સંબંધિત જિલ્લા અધિકારીઓને જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ સરહદના ગામોમાં જરૂર જણાયે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર થઈ શકે તે માટે વિલેજ ઇવેક્યુએશન પ્લાન વધુ સંગીન બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સેફર પ્લેસ પણ તાત્કાલિક પહોંચી શકાય તેવા સ્થળોએ ઉભા કરવા અને સ્થળાંતર માટે પૂરતા વાહનોનો પ્રબંધ કરવા પણ દિશા નિર્દેશો આપ્યા હતા.
ઉપરાંત તેમણે પ્રવર્તમાન પરિસ્થિતિમાં જો કોઈ વિકટ સ્થિતિ સમયે માર્ગોને નુકસાન થાય તો વાહન-વ્યવહારને અસર ન પહોંચે અને અસરગ્રસ્ત માર્ગો ત્વરાએ મોટરેબલ થઈ શકે તે માટે સરહદી જિલ્લાઓ સહિત રાજ્યમાં માર્ગમકાન વિભાગની ટીમોને અદ્યતન સાધન-સામગ્રી અને પૂરતા મેનપાવર સાથે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીએ આ બેઠકમાં સરકારના સંબંધિત અન્ય વિભાગોના વરિષ્ઠ સચિવો પાસેથી તેમના વિભાગોની હાથ ધરાયેલી કામગીરીની વિગતો પણ મેળવી હતી. તદનુસાર, અન્ન અને નાગરિક પુરવઠા અગ્ર સચિવ આર.સી.મીનાએ 38 જેટલી આવશ્યક ચીજ વસ્તુઓના ભાવો નિયંત્રણમાં રહે તે માટે વિભાગ દ્વારા સતત નિગરાની રાખવામાં આવે છે તેની માહિતી આપી હતી. તેમણે ઘઉં, ચોખા, દાળ, ડુંગળી-બટાકા જેવી રોજ-બ-રોજની ચીજ વસ્તુઓનો પૂરતો પુરવઠો રાજ્યમાં છે એમ જણાવી આ જથ્થાનો રોજ-બ-રોજનો સ્ટોક જિલ્લા તંત્ર દ્વારા અપડેટ કરવામાં આવે છે તેની વિગતો આપી હતી. પેટ્રોલ-ડિઝલની પણ કોઈ તંગી ઊભી ન થાય તે માટે પેટ્રોલ કંપનીઓ સાથે સંકલન કરવામાં આવે છે તેમ તેમણે જણાવ્યું હતું.
આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ રાજ્યના આરોગ્ય વિભાગની સજ્જતાની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સરહદી જિલ્લાઓમાં અન્ય જિલ્લાઓના મેડિકલ સ્ટાફ, તબીબો પહોંચાડ્યા છે એટલું જ નહીં, ભુજ, જામનગર, પાટણ, બનાસકાંઠામાં વધારાની એમ્બ્યુલન્સ ફાળવી છે. લોહીની જરૂરિયાતના સમયે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવા હેતુથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવી રહ્યા છે.
મુખ્ય સચિવ પંકજ જોષીએ રાજ્યના બધા જ જિલ્લાના કલેક્ટરોને સતત સતર્ક રહીને રાજ્ય સરકારના કંટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહેવા સૂચનાઓ આપી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, મહેસૂલ, સામાન્ય વહીવટ વિભાગ તથા ઉર્જા અને શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવો તથા BSF અને આર્મીના અધિકારીઓ તેમજ મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, રાહત કમિશનર આલોક પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
Gandhinagar,Gujarat
ભારત-પાકિસ્તાન ટેન્શન: ગુજરાતમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરતા પ્રમાણમાં, CM ભૂપેન્દ્ર પટેલે પરિસ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કરી