Last Updated:
જામનગરના બાલા હનુમાન મંદિરની અખંડ રામધૂન 1964થી ચાલુ છે અને ગિનિસ બુકમાં સ્થાન પામ્યું છે. દર મહિને 120-130 ધ્વજાઓ ચડાવવામાં આવે છે. શનિવારે વિશેષ આરતી અને ભક્તોની ભીડ રહે છે.
જામનગર: જ્યાં અખંડ રામધૂનનો નાદ ગુંજે છે અને હજારો ભક્તો દર્શનનો લાભ લે છે તેવા જામનગરના શ્રી બાલા હનુમાન મંદિરનો મહિમા અદ્વિતીય છે. સંત અને સૂરોની ભૂમિ સૌરાષ્ટ્રના અમુક અન્ય મંદિરો કરતાં આ મંદિર વિશિષ્ટ છે કારણ કે અહીં અતિવૃષ્ટિ, યુદ્ધ, ભૂકંપ કે દુષ્કાળની પરિસ્થિતિઓમાં પણ રામના જાપ અખંડ રહે છે. હાલ આ મંદિરમાં ધ્વજા ચઢાવવાનો પ્રસંગ ખૂબ જ મહત્વપૂર્ણ બન્યો છે.
મંદિરના વહીવટદાર દિનેશભાઈ તુલસીદાસ કોટકે જણાવ્યું કે વર્ષોથી પ્રસિદ્ધ જામનગરના બાલા હનુમાન મંદિરનો મહિમા સતત વધી રહ્યો છે. ભક્તોના દુ:ખ દૂર કરી અને ઈચ્છાઓ પૂરી કરતા આ બાલા હનુમાનજી મંદિરના દર્શન કરવા રોજ અનેક ભક્તો આવે છે. આ સંજોગોમાં મંદિરમાં ધ્વજા ચઢાવવાનું મહત્વ પણ વધ્યું છે. દરરોજ 5 ધ્વજાઓ આ મંદિરમાં ચડાવવામાં આવે છે, અને ધાર્મિક મહિનાઓમાં સરેરાશ 5 થી વધુ ધ્વજાઓ ચડાવવામાં આવે છે.
જામનગરના બાલા હનુમાન મંદિરે ધ્વજા ચઢાવવાનું મહત્વ છેલ્લા થોડાક સમયથી ખૂબ જ વધ્યું છે. અહીં યજમાન પરિવાર માત્ર 251 રૂપિયામાં ધ્વજા ચડાવીને ધન્યતા પ્રાપ્ત કરી શકે છે. ખાસ વાત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિઓને સારી નોકરી કે ધંધામાં સફળતા મળે છે, ત્યારે ભક્તો ધ્વજા ચડાવે છે. આ ઉપરાંત, બાળકોના જન્મદિવસ નિમિત્તે પણ યજમાન પરિવાર દ્વારા ધ્વજા ચડાવવામાં આવે છે. મેરેજ એનિવર્સરી, સારા પ્રસંગો અને પૂર્વજોની તિથિ પર પણ ધ્વજા ચડાવી દાદાના વિશેષ આશીર્વાદ લેવામાં આવે છે. માત્ર 251 રૂપિયાના ટોકન દરે અહીં ધ્વજાની સિલાઈ અને કાપડના ખર્ચે ધ્વજા ચડાવાય છે. અંદાજ મુજબ, દર મહિને 120 થી 130 ધ્વજા સરેરાશ ચડાવવામાં આવે છે, અને ધાર્મિક મહિના દરમિયાન આ આંકડો 150 સુધી પહોંચી જાય છે.

જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર શહેર અને આસપાસના વિસ્તારોમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મંદિરમાં ચાલતી અખંડ રામધૂન છેલ્લા 58 થી 60 વર્ષથી નિયમિત રીતે ચાલે છે. શનિવારે તો અહીં ભક્તોની વિશાળ સંખ્યા ઉમટી પડે છે. દરરોજ સવાર અને સાંજ આરતી કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં જામનગરવાસીઓ ભાગ લે છે. હનુમાનજીના પ્રિય તહેવાર શનિવારે ખાસ આરતીનું આયોજન થાય છે, જે સવારે 7 વાગ્યે અને સાંજે પણ 7 વાગ્યે કરવામાં આવે છે. શનિવારના દિવસે બાલા હનુમાન મંદિરે ખાસ કરીને વધુ ભીડ રહે છે.
જામનગરમાં તળાવના કિનારે સ્થિત બાલા હનુમાનજી મહારાજના મંદિરે 01/08/1964ના રોજ અખંડ રામધૂનની શરૂઆત થઈ હતી. પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા ”શ્રી રામ, જય રામ, જય જય રામ” અખંડ રામ ધૂન શરૂ કરવામાં આવી હતી, જે ત્યારથી અવિરત ચાલુ છે. દિવસ-રાત ચાલતી આ અખંડ રામધૂનને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આફત કે કોઈ પણ પરિસ્થિતિમાં આ અખંડ રામધૂન બંધ થતી નથી. ભૂકંપ, વાવાઝોડું કે કોરોનાની મહામારી જેવી પરિસ્થિતિઓમાં પણ મંદિરના પરિસરમાં અનવરત રામધૂન ચાલુ રહે છે.
Jamnagar,Gujarat