Last Updated:
અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેના મોટા પ્રમાણમાં મુસાફરોના મોત થયા છે. જોકે બ્લેક બોક્સ મળ્યા બાદ હવે આ પ્લેન કેમ ક્રેશ થયું હતું તેને લઈને મોટા ખુલાસા થઈ શકે છે. ત્યારે શું હોય છે બ્લેક બોક્સ અને કેવી રીતે તેના દ્વારા પ્લેન ક્રેશને લઈને માહિતી સામે આવશે? જાણો તેના વિશે વિગતવાર માહિતી.
અમદાવાદ: શહેરમાં થયેલા પ્લેન ક્રેશને લઈને હવે બ્લેક બોક્સમાં મોટા ખુલાસા થઈ શકે છે. જેમાં આ દુર્ઘટના કયા કારણોસર સર્જાઈ હતી તેને લઈને મોટો ખુલાસો થવાની શક્યતા છે. બ્લેક બોક્સ પ્લેન ક્રેશની તપાસમાં ઘણું જ ઉપયોગી બનતું હોય છે. કારણ કે તેમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડ રહેલા હોય છે. સાથે જ બ્લેક બોક્સમાં કોકપિટ વોઇસ રેકોર્ડ પણ રહેલો હોય છે. બ્લેક બોક્સની મદદથી હવામાન કે ટ્રાફિક કંટ્રોલથી ભૂલ થઈ હોય તો તે અંગે પણ જાણકારી મળી જતી હોય છે. જેથી આ બ્લેક બોક્સ મળ્યા બાદ મોટા ખુલાસાઓ થઈ શકે છે.
પ્લેન જ્યારે ટેકઓફ થયું ત્યારે તેમાં 58 હજાર લિટર ફ્યુઅલ હતું જેના કારણે પ્લેન ક્રેશ થયું ત્યારે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે મોટા ભાગના મુસાફરોના મોત થયા છે. જોકે બ્લેક બોક્સ મળ્યા બાદ પ્લેન ક્રેશ કયા કારણોસર થયું તેને લઈને મોટા ખુલાસા થઈ શકે છે. કારણ કે તેમાં પ્લેન કેટલી ઊંચાઈ પર હતું, તેની ઝડપ કેટલી હતી, સાથે દિશા કઈ હતી તેનો રેકોર્ડ પણ બ્લેક બોક્સમાંથી મળી આવે છે.
પ્લેનમાં એન્જિનની સ્થિતિ, રડાર અંગેનો રેકોર્ડ પણ બ્લેક બોક્સમાં હોય છે. સાથે જ તેમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં વિમાનની ટેક્નિકલ માહિતીનો પણ રેકોર્ડ રહેલો હોય છે. પાયલટ કો-પાયલટ વચ્ચેની વાતચીત પણ બ્લેક બોક્સમાં રેકોર્ડ થાય છે અને પાયલટ તથા એર ટ્રાફિક કંટ્રોલ સાથેની વાતચીત પણ રેકોર્ડ થાય છે. આપને જણાવી દઈએ કે બ્લેક બોક્સ એકદમ મજબૂત મટીરિયલમાંથી બને છે. જેમાં તે વિમાનના પાછળના ભાગે હોય છે અને પ્લેનમાં મોટા ભાગે પાછળનો ભાગ ઓછો ક્ષતિગ્રસ્ત થતો હોય છે.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ થઈ શકે એ ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં આવેલા કસોટી ભવન ખાતે પરિવારના સભ્યો જેમ કે માતા-પિતા, ભાઈ, બહેનનું લોહીનું સેમ્પલ લેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ડીએનએ ટેસ્ટની શરૂઆત કરાઈ છે. કસોટી ભવન ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારના સભ્યોનું બ્લડ સેમ્પલ લીધા બાદ ડીએનએ ટેસ્ટ માટે તેને ફોરેન્સિક લેબ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ તેનો રિપોર્ટ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ પ્લેનમાં 242 લોકો સવાર હતા જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્લેનમાં સવારી કરી રહ્યા હતા. હોસ્ટેલની બિલ્ડિંગમાં LPG સિલિન્ડર પણ પ્લેન ક્રેશ બાદ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે હોસ્ટેલમાં રહેતા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ શહેરની સિવિલ હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં બહાર એમ્બ્યુલન્સોની લાઈનો જોવા મળી હતી.
Ahmedabad,Gujarat
June 13, 2025 1:00 AM IST