PM Narendra Modi Full Speech : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આદમપુરના એરફોર્સ બેઝ પર ભારતીય વાયુસેનાના બહાદુર જવાનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતીય વાયુસેનાના સૈનિકોને પણ સંબોધિત કર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાઓ અને બીએસએફના બહાદુર જવાનોને સલામ કરતા કહ્યું કે તમે ભારતીયોની છાતી ગર્વથી ફુલાવી દીધી છે, તમે ઇતિહાસ રચી દીધો, દાયકાઓ સુધી તમારી બહાદુરી પર ચર્ચા થશે.
ભારતની ત્રણેય સેનાઓએ પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી
તેમણે કહ્યું કે જે પાકિસ્તાની સેનાના ભરોસે આતંકીઓ બેઠા હતા તેને ભારતની ત્રણેય સેનાઓએ ધૂળ ચટાડી દીધી છે. તમે પાકિસ્તાની ફોર્સને પણ બતાવી દીધું છે કે પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં આતંકવાદીઓ બેસીને શાંતિથી શ્વાસ લઈ શકે. અમે ઘરમાં ઘૂસીને મારીશું અને બદલો લેવાની એક તક પણ નહીં આપીએ. આપણા ડ્રોન, આપણી મિસાઇલો વિશે વિચારીને પાકિસ્તાનને ઘણા દિવસો સુધી ઊંઘ નહીં આવે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આદમપુર એરબેઝ પર કહ્યું હતું કે ‘ભારત માતા કી જય’ એ માત્ર એક સૂત્ર નથી, પરંતુ આપણા સૈનિકોનો દેશ માટે પોતાના પ્રાણ આપવાનો સંકલ્પ છે. જ્યારે આપણા ડ્રોન, મિસાઇલો દુશ્મનો પર પ્રહાર કરે છે, ત્યારે તેમને ‘ભારત માતા કી જય’ સાંભળે છે.
આ પણ વાંચો – પીએમ મોદીની સ્પષ્ટ વાત, કહ્યું – ભારત કોઈ ન્યૂક્લિયર બ્લેકમેઇલ સહન નહીં કરે
પાકિસ્તાનને લાંબા સમય સુધી ઊંઘ નહીં આવે
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત ગૌતમ બુદ્ધ અને ગુરુ ગોવિંદ સિંહજીની ભૂમિ છે, આપણા દુશ્મનો ભૂલી ગયા છે કે તેમણે ભારતની સશસ્ત્ર સેનાને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે આતંકવાદના આકાને સમજાઇ ગયું છે કે ભારત પર ખરાબ નજર રાખવાનો અર્થ ફક્ત તેમનો વિનાશ હશે. આપણા ડ્રોન અને મિસાઇલો વિશે વિચારીને પાકિસ્તાનને લાંબા સમય સુધી ઊંઘ નહીં આવે.