India Pakistan ceasefire : ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યાથી સીઝફાયર લાગું થયું હતું. જોકે પાકિસ્તાને 3 કલાકમાં જ સીઝફાયરનો ભંગ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું- આ કેવા પ્રકારનો યુદ્ધવિરામ છે? શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે.
ભારતીય સેના આ નાપાક ષડયંત્રનો જડબાતોડ જવાબ આપી રહી છે. બાડમેરમાં પણ બ્લેકઆઉટ થયું છે, ત્યાંના ડીએમએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. જમ્મુના અખનૂર સેક્ટરમાં પણ પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ શું કહ્યું
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીને રોકવા માટે આજે સાંજે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે જે કરાર થયો હતો, તેનું છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા ઘોર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના આ સરહદી અતિક્રમણનો જવાબ આપી રહી છે અને તેનો સામનો કરી રહી છે, આ અતિક્રમણ ખૂબ જ નિંદનીય છે અને પાકિસ્તાન તેના માટે જવાબદાર છે. અમારું માનવું છે કે પાકિસ્તાને આ પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવી જોઈએ અને આ અતિક્રમણને રોકવા માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા જોઈએ. સેના આ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને કોઈપણ અતિક્રમણનો સામનો કરવા માટે નક્કર અને કડક પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પાકિસ્તાને પોતાનું વચન તોડ્યું
પાકિસ્તાન તરફથી આ કાર્યવાહી કે સમયે થઇ છે જ્યારે થોડા કલાકો પહેલા જ બંને દેશો વચ્ચે સીઝફાયરને લઇને સહમતી બની હતી. પરંતુ ફરી એકવાર પાકિસ્તાને પોતાનું વચન તોડ્યું છે, તેણે ફરીથી ભારતના સરહદી વિસ્તારો પર હુમલા શરુ કર્યા છે. પાકિસ્તાનની આ કાર્યવાહીનો ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે.
આ પણ વાંચો – ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા 5 પ્રમુખ આતંકીની વિગતો સામે આવી
અગાઉ જ્યારે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ભારતે સ્પષ્ટ કરી દીધું હતું કે આ યુદ્ધવિરામ તેમની શરતો પર કરવામાં આવ્યું છે. જો આતંકવાદને ફરીથી પ્રોત્સાહન આપવામાં આવશે તો ભારત કોઈ પણ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર રહેશે તેવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. આ સમયે ઘણા દેશોને પણ સંદેશો આપવામાં આવ્યો છે કે ભારત કોઇ દેશ સામે ઉભું નથી, પરંતુ જો કોઇ આતંકવાદને સમર્થન આપે, તેને પ્રોત્સાહન આપે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
પાકિસ્તાન છેલ્લા ઘણા દિવસોથી બેકફૂટ પર ચાલી રહ્યું છે
પાકિસ્તાન છેલ્લા ઘણા દિવસોથી બેકફૂટ પર ચાલી રહ્યું છે. પહેલગામમાં આતંકી હુમલા બાદથી ભારતે પાકિસ્તાનને સતત ઝટકો આપ્યો છે. પહેલા વોટર સ્ટ્રાઈક કરવામાં આવી, ત્યારબાદ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકીઓના 9 ઠેકાણાઓને પાકિસ્તાનમાં ઘૂસીને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા હતા. આ કારણે પાકિસ્તાન રઘવાયું થયું હતું તેના દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.