જૂનાગઢ: પહેલાના સમયમાં મોટાભાગની માતાઓ નોર્મલ ડિલિવરી થકી જ બાળકને જન્મ આપતી હતી. હાલના સમયમાં ઘણી મહિલાઓ કેટલાક કારણોસર સિઝેરિયનથી બાળકને જન્મ આપે છે. જોકે, હવે બાળકોને જન્મ આપતા સમયે અનેક સમસ્યાઓ થતી હોવાના ઘણા કિસ્સા સામે આવેલા છે. આવા જ એક કિસ્સા વિશે આજે આપણે વાત કરીશું. જેમાં ડોક્ટરે દેવદૂત બનીને મહિલા અને તેના બાળકનું જીવન બચાવી લીધું હતું.
પ્લેસેન્ટા પરક્રેટા નામની બીમારીથી પીડાતી મહિલા
આ અંગે મળતી માહિતી અનુસાર, આજે આપણે ઈલુબેન નામની મહિલા વિશે વાત કરીશું. પોરબંદર જિલ્લાના ધ્રુવાળા ગામના રહેવાસી ઈલુબેન વીરાભાઈ રાડાને ત્રણ બાળકો છે અને તેઓ ચોથા બાળકને જન્મ આપવા જઈ રહ્યા હતા. ઈલુબેન પ્લેસેન્ટા પરક્રેટા નામની બીમારીથી પીડાઈ રહ્યા હતા. મહિલાને ત્રણ વખત સિઝેરિયન કર્યા પછી ચોથી વખત સિઝેરિયન કરવાનું હતું. જોકે, તેમની સારવાર શરૂ કરી દેતા તેઓ પ્લેસેન્ટા પરક્રેટા નામની બીમારીથી પીડાતા હોવાનું સામે આવ્યું હતું. જેથી સમગ્ર પોરબંદર જિલ્લામાં મહિલાની સારવાર માટે તમામ ડોક્ટરોએ ના પાડી દીધી હતી.
આ પ્રકારની બીમારી ત્રણથી ચાર હજાર કિસ્સામાં એક વખત જોવા મળતી હોય છે. આ ઓપરેશન પણ કરી શકાત પરંતુ ઈલુબેનનું બ્લડ ગ્રુપ એ નેગેટિવ છે. જે જલદીથી બજારમાં ઉપલબ્ધ થતું નથી અને જ્યારે ઓપરેશન કરવાનું થાય એટલે ઓછામાં ઓછી 15 બોટલ બ્લડની જરૂર પડે છે. હાઈ રિસ્ક અને અપજશ લેવા જેવી સર્જરી હોવાને લીધે મોટાભાગના ડોક્ટરોએ આ ઓપરેશન કરવાની ના પાડી દીધી હતી.
4 થી 5 ડોક્ટરોની ટીમે સફળતા પૂર્વક બે જીવ બચાવ્યા
ઈલુબેન અને તેમનો પરિવાર જૂનાગઢમાં પણ ઘણી જગ્યાએ તપાસ માટે ગયા હતા. પરંતુ, જ્યારે ડૉ. કે. પી. ગઢવીના સંપર્કમાં આવ્યા ત્યારે તેમને પોઝિટિવ જવાબ મળતા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. સૌથી પહેલા મહિલાના એમ.આર.આઈ.ના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. આ બીમારીની સારવાર કરવા માટે પોરબંદરથી 16 બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં આઠ પ્લેટલેટ, 4 FFP, 8 PCV બધા બ્લડ લઈ સારવાર શરૂ કરવામાં આવી હતી. 4 થી 5 ડોક્ટરોની ટીમે આ મહિલાનું ઓપરેશન કરી સફળતાપૂર્વક બાળક અને મહિલાનું જીવન બચાવી લીધું હતું. હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે.
પ્લેસેન્ટા પરક્રેટા શું છે?
આ બીમારી ખૂબ જવલ્લે જોવા મળતી બીમારી છે. સામાન્ય રીતે પ્લેસેન્ટા પ્રિવિયા અને એક્રેટા – પરક્રેટા જેની અંદર બાળકની મેલીનો ભાગ ગર્ભાશયના બાળકની પહેલા એટલે કે, લો સેગમેન્ટ ઉપર ઈમ્પ્લાન્ટ થયેલું હોય છે. પ્લેસેન્ટા પ્રિવિયા એટલે ગર્ભાશય પૂરતું, એક્રેટા એટલે ગર્ભાશયની દીવાલ, પરક્રેટા એટલે ગર્ભાશયની દિવાલ આખી સાફ કરી આગળની પેશાબની થેલી સુધી તેના મૂળ જતા રહેલા હોય. બાળકની ડિલિવરી સમયે આ કિસ્સો એટલા માટે ગંભીર બની જતો હોય છે કે, મેલીની અંદર જે તેની બ્લડ વેસલ્સ હોય છે તે પેશાબની થેલી સુધી પહોંચેલી હોય છે. આ પ્રકારના ઓપરેશનમાં બાળકની સાથે ગર્ભાશયની થેલી પણ કાઢી લેવી પડતી હોય છે. સામાન્ય રીતે એક ઓપરેશનમાં પહેલેથી જ બ્લીડિંગ થતું હોય છે. ત્યારે તેની સાથે સાથે 600 ગ્રામની બાળકને પોષણ આપતી મેલીને પણ સાથે કાઢવાથી બ્લડિંગ પ્રોફ્યુઝ થવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર