Last Updated:
જામનગરમાં જૈન સંગઠન દ્વારા 14 સ્થળોએ જળસંચયના કામો હાથ ધરાયા છે, જેના પરિણામે કરોડો લિટર પાણીનો સંગ્રહ થશે. આ પ્રોજેક્ટથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા થશે અને ખેડૂતોને સીધો ફાયદો થશે. તેમજ દિકરાના ચાંદલાની રકમમાં પરિવારે 1.90 લાખ રૂપિયા ઉમેરી 4 લાખના જળસંચયના કામ થઈ રહ્યા છે.
જામનગર: જામનગરમાં કાર્યરત જૈન સંગઠન દ્વારા જળસંચય માટે વિવિધ કાર્ય કરવામાં આવે છે. આ કાર્યમાં ગામડામાં આવેલા ચેકડેમો અને તળાવમાંથી વધારાનો કાપ દૂર કરી પાણીનો સંગ્રહ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વખતે, જૈન સંગઠન દ્વારા 14 સ્થળોએ જળસંચયના કામો કરવામાં આવ્યા છે. જેના પરિણામે કરોડો લીટર પાણીનો સંગ્રહ થશે અને ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે.
જામનગરમાં કાર્યરત જૈન સંગઠનના સંયોજક શરદભાઈ શેઠે જણાવ્યું કે ભારતીય જૈન સંગઠન દ્વારા 2013 થી ભારતના 8 રાજ્યમાં વિવિધ જળસંચયના કામો કરવામાં આવે છે. ગત વર્ષે જામનગરમાં પાંચ ગામમાં જળસંચયના કામો થયા હતા, અને આ વખતે અમે 14 સ્થળોએ આ કાર્ય હાથ ધર્યું છે.

જામનગર જિલ્લાના ગામડાઓમાં તળાવમાંથી વધારાની માટી કે કાંપને દૂર કરવા માટે JCB અને હિટાચી મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાપ ખેડૂતોને તેમની જમીનમાં ફળદ્રુપતા વધારવા માટે મહત્વપૂર્ણ છે, તેથી તે નિઃશુલ્ક આપવામાં આવે છે. આ વખતે ધ્રોલ ખાતે જળસંચયના કામો હાથ ધરવામાં આવ્યા છે.
શરદભાઈ શેઠે જણાવ્યું કે તેમના પુત્રના લગ્ન માટે નિર્ણય લેવામાં આવ્યો હતો કે ચાંદલાની જે પણ રકમ થશે, તેમાં ડબલ રકમ અમારા પરિવાર દ્વારા ઉમેરવામાં આવશે અને તે રકમ જળસંચયના કામોમાં વાપરવામાં આવશે. આના ભાગરૂપે લગ્નમાં 1.90 લાખ રૂપિયા જેવી ચાંદલાની રકમ એકત્રિત થઈ હતી, જેમાં અમારા પરિવાર દ્વારા 1.90 લાખ ઉમેરવામાં આવ્યા હતા. આ રીતે, કુલ 4 લાખ રૂપિયાથી ધ્રોલમાં હાલ જળસંચયના કામોની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને કારણે આવનારા સમયમાં દોઢ કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ શકશે, જેના કારણે ખેડૂતો સીધો ફાયદો ઉઠાવી શકશે. આ ઉપરાંત, પાણીના તળ ઊંચા રહેશે, જેથી સિંચાઈના લાભ વધુને વધુ ખેડૂતોને મળશે.
Jamnagar,Gujarat