Jamnagar News : જામનગરના ગુલાબનગર રેલવે ઓવરબ્રિજ નીચેથી દિવ્યાંગ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે રેલવે પોલીસે તપાસ કરતાં મૃતક વડોદરાનો હોવાનું જાણવા મળ્યું હતું. પોરબંદરથી વડોદરા જતી ટ્રેનમાં દિવ્યાંગના ડબ્બામાં ઘુસેલા બે શખ્સોએ રકઝક કર્યા બાદ દિવ્યાંગ વ્યક્તિને ઊંચકીને નીચે ફેંકી દેતાં હેમરેજ થવાથી મૃત્યુ નીપજયું હતું. હત્યાના બનાવને લઈને પોલીસે બંને શખ્સોની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે.
ચાલતી ટ્રેનમાંથી દિવ્યાંગને ફેંકી દેતા મોત
જામનગર રેલવે સ્ટેશનથી હાપા તરફ જતી ટ્રેનના દિવ્યાંગના ડબ્બામાંથી વડોદરાના રહેવાસ હિતેશભાઈ કાનજીભાઈ મિસ્ત્રી (ઉં.વ. 35)ને જામનગરના ગુલાબનગર રેલવે ઓવરબ્રિજ નીચે ચાલતી ટ્રેનમાંથી બે શખ્સોએ ફેકી દેતા મોત નીપજ્યું હતું. હત્યાના બનાવ બાદ રેલવે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરીને જામનગરના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ પછી આરોપીના એક દિવસના રિમાન્ડ પર લીધા બાદ ફરીથી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યારે હવે બંનેને જેલ ભેગા કરવામાં આવ્યા છે.
રિમાન્ડ બાદ કર્યા જેલભેગા
હત્યાના બનાવને લઈને જામનગર રેલવેની ટીમ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરીને જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા હાજી અયુબ કાતીયા (ઉં.વ.35) અને સદામ કાસમભાઈ કાચલીયા (ઉં.વ. 32)ની ધરપકડ કરીને કોર્ટમાં એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
આ પણ વાંચો: વડોદરાના દિવ્યાંગને બે શખ્સોએ ચાલુ ટ્રેનમાંથી ફેંકી કરી’તી હત્યા
શું હતી સમગ્ર ઘટના?
જામનગરના રેલવે ઓવરબ્રિજ નજીકથી એક માનવ મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસ તપાસ દરમિયાન મૃતક વડોદરાના દિવ્યાંગ હોવાનું સામે આવ્યું હતું. પોરબંદરથી આવેલી ટ્રેનમાં દિવ્યાંગના ડબામાં મુસાફરી કરી રહેલા વડોદરાના વતની હિતેશભાઈ કાનજીભાઈ મિસ્ત્રી (ઉં.વ. 35) જામનગર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી ક્યાંક લાપતા બન્યા હતા, અને હાપા સુધીમાં તેનો પતો નહીં મળતાં તેની સાથે જ મુસાફરી કરનારા વડોદરાના પાઉલભાઈ મથુરભાઈ મકવાણા જામનગર રેલવે સ્ટેશન ઉપર ઉતરીને રેલવે પોલીસને જાણ કરી હતી, જેથી સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં જામનગરના ગુલાબનગર ઓવરબ્રિજ નીચેથી એક મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસે તેનું નિરીક્ષણ કરતાં તે મૃતદેહ હિતેશભાઈ મિસ્ત્રીનો હોવાનું સામે આવ્યું હતું.