Last Updated:
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં અજમાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેનાથી ખેડૂતોમાં નિરાશા છે. સીઝનના પ્રારંભે 6000 રૂપિયા ભાવ હતા, હવે 2000-3000 રૂપિયા સુધી ઘટી ગયા છે.
જામનગર: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં અજમાના સારા ભાવ મળતા હોય છે. અજમાનું પીઠું પણ ગણવામાં આવે છે અને જામનગરમાં સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાંથી ખેડૂતો અજમો વહેંચણી કરવા માટે જામનગરની યાર્ડમાં આવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અજમાના ભાવ પર જાણે કોઈની નજર લાગી હોય તેમ ભાવ દિવસેને દિવસે ઘટી રહ્યા છે. આ છેલ્લા અઠવાડિયામાં અજમાના ભાવમાં જબરો ઘટાડો નોંધાયો હોવાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
છેલ્લા 7 થી 8 દિવસ દરમિયાન અજમાના ભાવની વાત કરીએ તો ગત તા. 3 ના રોજ 1600 થી 4000 રૂપિયાના ભાવે અજમાના સોદા પડ્યા હતા. ત્યારબાદ ગત તા. 4 ના રોજ 1750 થી 3500 અને તા. 5 ના રોજ 1600 રૂપિયાથી 3440 રૂપિયામાં અજમો વેચાયો હતો. વધુમાં 6 તારીખના રોજ રજાને લીધે યાર્ડ બંધ રહ્યા બાદ 7 તારીખના રોજ અજમાના ખેડૂતોને 1800 થી 3675 રૂપિયા ભાવ મળ્યા હતા. જ્યારે ગઈકાલે 8 તારીખના રોજ 1500 રૂપિયા થી 3200 રૂપિયા મળ્યા હતા. આમ દિવસેને દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે.
આ ઘટાડામાં આજે તો રીતસરનો કહેર વરસ્યો હોય તેમ આજે અજમાના ભાવ માત્રને માત્ર 2000 રૂપિયાથી લઈ 2750 રૂપિયા જેવા બોલાવ્યા હતા. અને 169 ખેડૂતો અજમો વેચવા માટે આવ્યા હતા. જેથી 2057 ગુણી અજમાની આવક નોંધાઈ હતી. મહત્વની વાત તો એ છે કે સીઝનના પ્રારંભની સાથે અજમાના ભાવ 6 હજાર રૂપિયા જેવા બોલાયા હતા. ખેડૂતોને આ તોતિંગ ભાવ મળ્યા બાદ હવે માત્ર 2000 થી 3000 રૂપિયા જેવા જ ભાવ મળતાં ધરતી પુત્રોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

અજમાની નિકાસ વિદેશમાં પણ મોટા પાયે થાય છે. દેશભરની સ્પાઈસ બ્રાન્ડેડ કંપનીઓ જામનગરથી અજમો ખરીદે છે. એવો દાવો કરવામાં આવે છે કે આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પણ જામનગર યાર્ડમાંથી એમના એજન્ટો મારફત અજમાની ખરીદી કરે છે. મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં અજમાના ભાવની હરાજી માટેનો પ્રારંભ જામનગરથી જ થાય છે. અને તેના આધારે સમગ્ર રાજ્યમાં અજમાની હરાજી થાય છે.
આયુર્વેદની દ્રષ્ટિએ અજમાનું મહત્વ છે. અજમો પાચન ક્રિયાને મજબૂત કરે છે અને દુખાવા, ગેસ, અપચા જેવી પાચન સમસ્યાઓમાં રાહત આપે છે. અજમો ડાયાબિટીસ નિયંત્રણ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે તે બ્લડ શુગરની લેવલને સ્થિર રાખે છે. તે ગેસ, કબજિયાત અને પેટમાં દુખાવાની સમસ્યાઓ માટે રાહત આપી શકે છે.
Jamnagar,Gujarat
April 09, 2025 4:04 PM IST