આ અંગે લોકલ 18 સાથે વાત કરતા સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામના ખેડૂત ભરતભાઈ ચોડવડિયાએ જણાવ્યું હતું કે, તેમના ગામ અને આજુબાજુના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું. સારા ભાવ અને વધુ ઉત્પાદનની આશા હતી, પરંતુ કમોસમી વરસાદે આ આશાઓને ચકનાચૂર કરી દીધી. સાવરકુંડલાના ખારાપાટ વિસ્તારમાં થયેલા વરસાદથી ડુંગળીનો પાક પલળી જતાં તેને મોટું નુકસાન થયું છે. જેથી ભરતભાઈએ સરકારને અપીલ કરી કે, તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે.
બાગાયતી અને ઉનાળુ પાકોને પણ અસર
કિસાન સંઘના નેતા મહેશભાઈ ચોડવડિયાએ જણાવ્યું કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, ખાંભા અને ધારી વિસ્તારોમાં ધોધમાર વરસાદે બાગાયતી અને ઉનાળુ પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ડુંગળી, તલ, મગફળી, કઠોળ જેવા ઉનાળુ પાકો અને કેળ, આંબા જેવા બાગાયતી પાકોને મોટું નુકસાન થયું છે. ડુંગળીના ભાવ પહેલેથી જ નીચા હતા, અને હવે વરસાદે 100 ટકા પાકનું નુકસાન કર્યું છે. મહેશભાઈએ સરકારને વિનંતી કરી કે, ખેડૂતોને તાત્કાલિક સર્વે અને સહાય આપવામાં આવે.

કેરી અને અન્ય પાકો પર સંકટ
પિયાવા ગામના ખેડૂત ચિરાગ હિરપરાએ જણાવ્યું કે, છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે થયેલા કમોસમી વરસાદે સાવરકુંડલા, ધારી અને રાજુલા વિસ્તારોમાં ખેડૂતોના તૈયાર પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને કેસર કેરીના બગીચાઓ, જેની સિઝન હમણાં શરૂ થઈ હતી, તેને મોટું નુકસાન થયું છે. આંબાના ફળો હજુ વૃક્ષો પર હતા, જે વરસાદ અને પવનથી ખરી પડ્યા. આ ઉપરાંત, ચીકુ, લીંબુ, ડુંગળી, બાજરી, મગ, તલ જેવા પાકો પણ નુકસાનનો ભોગ બન્યા છે. ડુંગળીના ભાવ આ વર્ષે નીચા હોવાથી ખેડૂતો પહેલેથી જ મુશ્કેલીમાં હતા, અને હવે આ વરસાદે તેમની સ્થિતિ વધુ ખરાબ કરી છે.

ખેડૂતોની સરકારને અપીલ
ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે, વિલંબ વિના સર્વે કરાવીને નુકસાન પામેલા પાકોનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ કમોસમી વરસાદે ખેડૂતોની આર્થિક સ્થિતિને ગંભીર રીતે અસર કરી છે, અને તેઓ સરકારની તાત્કાલિક મદદની આશા રાખે છે.
May 09, 2025 10:01 AM IST