સુરેન્દ્રનગર શહેરમાં વસતા અને ભારતીય સેનાનાં નિવૃત હવાલદાર મેજરે ઓપરેશન સિંદૂર ગમે ત્યારે પુર્ણ યુધ્ધમાં પરિણમી શકે છે તેમ જણાવ્યુ હતુ. દેશમાં 54 વર્ષ પહેલા થયેલા યુધ્ધનો વર્તમાન પેઢીને અનુભવ નથી. ત્યારે જિલ્લાના 1,200થી વધુ નિવૃત ભારતીય સેનાના જવાનોએ રસ્તા પર ઉતરી અને સોસાયટીઓમાં બેઠક કરી લોકોને યુધ્ધની સ્થિતિ સમયે શું કરવુ અને શું ન કરવુ તેની માહિતી આપવાની તૈયારી બતાવી છે. આ અંગે પોલીસ મથકોમાં પોતાના નામ, મોબાઈલ નંબર અને સરનામાની યાદી અપાઈ રહી છે.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ગત તા. છઠ્ઠી મેએ રાત્રે ઓપરેશન સીંદૂર હેઠળ પાક અધિકૃત કાશ્મીર અને એલઓસી પાર કરીને આતંકવાદના 9 ઠેકાણાનો ખાત્મો બોલાવ્યો છે. આવા સમયે મુળ લીંબડીના વતની અને હાલ સુરેન્દ્રનગરની રાજ રાજેશ્વરી સોસાયટીમાં રહેતા નિવૃત હવાલદાર મેજર 59 વર્ષીય માર્કંડરાય વાસુદેવભાઈ દવેએ જણાવ્યુ કે, ઓપરેશન સીંદૂર ગમે ત્યારે યુધ્ધમાં પરિણમી શકે છે. અમો જયારે ફૌજમાં ફરજ બજાવતા હતા ત્યારે આવા હથિયારો અને ટેકનોલોજી હતી નહીં. જયારે વર્ષ 2014 પછી આર્મીમાં નવી ટેકનોલોજી આવી છે, નવા હથીયારો આવ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ આર્મીને ખુલ્લી છુટ આપી ઈંટનો જવાબ પથ્થરથી દેવા કહી રહી છે. વર્ષ 1971માં ભારત પાકીસ્તાન, બાંગ્લાદેશ અને ચાઈના એમ ત્રણ મોરચે લડયુ હતુ. ત્યારે હાલ તો એક પાકીસ્તાન જ સામે છે. ત્યારે આતંકવાદને જડમુળમાંથી નાશ કરવા આ સુવર્ણ અવસર રહેલો છે. દેશમાં લડાઈનો અનુભવ ફૌજી સીવાય કોઈને નથી. 54 વર્ષ પહેલા થયેલા યુધ્ધને હાલની પેઢીએ જોયુ પણ નથી. ત્યારે યુધ્ધ સમયે શું કરવુ, શું ન કરવુ તેની માહીતી આપવા સુરેન્દ્રનગર જિલ્લા નીવૃત્ત આર્મી મંડળના 1200થી વધુ જવાનોએ તૈયારી દાખવી છે. સોસાયટીમાં અને રસ્તા પર જઈ અમો લોકોને આ અંગેની જાણકારી આપવા તૈયાર છીએ. આ માટે નીવૃત્ત જવાનોના નામ, મોબાઈલ અને સરનામા સાથેની યાદી પોલીસ મથકે અપાઈ રહી છે. યુધ્ધના સમયે લોકોએ અફવાથી ખાસ દુર રહેવુ જોઈએ. કોઈપણ કાર્યવાહીની આર્મીના અધીકૃત ઓફીસર્સ તરફથી આપવામાં આવેલ માહિતીને જ તથ્ય માનવુ જોઈએ.