પંચમહાલ અને ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવનાર ભક્તો માટે અન્નક્ષેત્ર અને રહેવાની વ્યવસ્થાનો પ્રારંભ આજથી કરવામાં આવ્યો છે. દરરોજ ભક્તોને સવારે ચા-નાસ્તો અને બપોરે ભોજનની વ્યવસ્થા મંદીર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. આજે પ્રથમ નોરતે અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી છે.
ભોજનની સાથે શ્રદ્ધાળુઓ માટે રહેવાની પણ વ્યવસ્થા
આ દરમિયાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમાર અન્નક્ષેત્રના લોકાર્પણ સમયે ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસથી અન્નક્ષેત્ર માટે દાનની સરવાણીનો ધોધ વહેતો થયો છે. કોઈ અજાણ્યા ટેમ્પોમાં શાકભાજી, ચોખા આવ્યા અને તે ઉતારીને માણસો જતા રહ્યા હોવાનું ટ્રસ્ટી દ્વારા જણાવાયું છે. દૂર-દુરથી આવતા માઈભક્તોને હવે જમવા તેમજ રહેવાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
પ્રથમ નોરતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી
મા આદ્યશક્તિના આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે, ત્યારે શક્તિ પીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર પ્રથમ દિવસે જ ઉમટી પડ્યું છે, વહેલી સવારથી જ ભક્તો પાવાગઢ નિજ મંદિરે પહોંચી માતાજી મહાકાળીના ભાવ ભેર દર્શન કર્યા, સાથે સાથે મંદિરની આસપાસ ગરબા પણ રમતા જોવા મળ્યા હતા. ગુજરાતની સાથે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી માઈભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને પાવાગઢ ડુંગર પર માતાજીના મંદિરની જ્યોત લઈ જઈ પોતાના વતનએ જ્યોતની નવ દિવસ સુધી પૂજા અર્ચના કરતા હોય છે.