ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને દેશ સહિત ગુજરાતમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ગુજરાતના 11થી વધુ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સરહદી વિસ્તારોમાં લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. રાજ્યના પાટણ, બનાસકાંઠા, કચ્છ, જામનગર, દ્વારકા સહિતના ઘણા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
71 ગામમાં બ્લેક આઉટ રાખવાનો નિર્ણય
ત્યારે પાટણ જિલ્લામાં આજે પણ બ્લેક આઉટ રહેશે. સાંતલપુરના 71 ગામમાં બ્લેક આઉટ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તકેદારી અને સલામતીના ભાગરૂપે સરહદી વિસ્તારોમાં બ્લેક આઉટ રાખવાનો નિર્ણય જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પાટણ અને બનાસકાંઠામાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું હતું. સાંતલપુરના સરહદી ગામોમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના 24 સરહદી ગામમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું.
કંડલા પોર્ટ પર ઓપરેશન બંધ કરાયું
કંડલા પોર્ટ પર પણ ઓપરેશન સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું છે. બપોરે 3 વાગ્યાથી તાત્કાલિક અસરથી કંડલા પોર્ટ પર તમામ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. કચ્છમાં એલર્ટ લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય આદેશ ન થાય ત્યાં સુધી ઓપરેશન હવે બંધ થશે. પોર્ટ પર કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવશે નહીં. બીજી તરફ જામનગર જિલ્લામાં પણ ચેતવણીનું સાયરન વાગ્યુ છે અને નાગરિકોને જાહેર સ્થળોએ ફરવા ન જવા માટે સલાહ આપવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર પણ તૈયાર છે, સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવાની સલાહ લોકોને અપાઈ છે.